આરોપી પતિએ પાવડો અને ઇંટ જેવા હથિયારો વડે પત્ની પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બનેલી ત્રણ ગંભીર ઘટનાઓએ રાજ્યના કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ પારિવારિક સંબંધોની ગંભીરતા પર સવાલ ઉઠાવ્યા છે. અમદાવાદ, ગીર સોમનાથ અને કચ્છના ભુજમાં પતિ દ્વારા પત્નીની નિર્મમ હત્યાના બનાવોએ ચકચાર મચાવી દીધી છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. સિંગરવા નજીક પ્રાર્થના ફ્લોરેન્સની સાઇટ પર પતિએ તેની પત્નીની હત્યા કરી નાખી. આરોપી પતિએ પાવડો અને ઇંટ જેવા હથિયારો વડે પત્ની પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઓઢવ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી પતિ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથના વેરાવળના ડારી ગામે હત્યાની હૃદયદ્રાવક ઘટના બની છે. મૃતક પત્ની છેલ્લા 3 વર્ષથી રિસામણે પોતાના પિતાના ઘરે રહેતી હતી. નારાજ પતિએ રિસામણે આવેલ પત્ની પર હુમલો કર્યો અને 7 જેટલા છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી. પોલીસે આ મામલે પણ તપાસ શરૂ કરી છે.
કચ્છના ભુજમાં દાદુપીર રોડ પાસે ત્રીજી ગંભીર ઘટના બની હતી. અહીં પતિએ તેની પત્નીની ધારીયાના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આ હત્યા બાદ આરોપી પતિ જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો, જ્યાં પોલીસે તેની ધરપકડ કરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. ગુજરાતમાં એક જ દિવસમાં પત્નીઓની હત્યાના ત્રણ ગંભીર બનાવોથી સાબિત થાય છે કે, પારિવારિક ઝઘડાઓ અને માનસિક અસંતુલન ગંભીર ગુનાઓને નોતરી રહ્યા છે. પોલીસે ત્રણેય કેસમાં ઝડપી તપાસ કરીને આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.


