સુભાષ બ્રિજની નબળી સ્થિતિનો અહેવાલ સામે આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના મહત્ત્વના ઓવરબ્રિજની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. AMCએ શહેરના 16 ઓવરબ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે અને આ અંગેના પ્રતિબંધના બોર્ડ લગાવી દીધા છે.
બ્રિજને ઓવરલોડેડ અને ભારે વાહનોથી થતા નુકસાનથી બચાવવા અને શહેરમાં ભારે વાહનોના અનિયંત્રિત પ્રવેશને અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે. મહાત્મા ગાંધી બ્રિજ સહિત કુલ 16 બ્રિજ પર હાઈટ બેરિયર્સ (ઊંચાઈ પ્રતિબંધક) મૂકવામાં આવશે, જેના માટેનો સામાન પહોંચી ચૂક્યો છે. જે 16 બ્રિજનો સર્વે પૂર્ણ થયો છે, તેના રિપોર્ટના આધારે પ્રાથમિકતા નક્કી કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના તમામ બ્રિજ પર હાલ તાત્કાલિક હાઇટ બેરિયર લગાવવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના તમામ બ્રીજ પર હાઇટ બેરિયર લગાવવા મુદ્દે એક્સપર્ટના રિપોર્ટ બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે.એએમસી દ્વારા કરવામાં આવી રહેલી આ તપાસમાં દરેક બ્રિજની હાલની સ્થિતિ, તેની રચનાત્મક ક્ષમતા અને સલામતીના ધોરણોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. હાઇટ બેરિયર લગાવવાનો કોઈપણ નિર્ણય એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવતા રિપોર્ટ અને ભલામણના આધારે જ લેવામાં આવશે. આ ઉપરાંત હાલમાં હાઇટ બેરિયર લગાવવા અંગે કોઈપણ પ્રકારની એજન્સીની નિમણૂક કરવામાં આવી નથી.
રાજ્ય વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની સૂચનાઓ તથા મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રોજેક્ટ રિવ્યુ મીટિંગમાં આપવામાં આવેલા દિશાનિર્દેશોના અનુસંધાને આ સમગ્ર પ્રક્રિયા અમલમાં છે. હાલમાં બ્રિજ એક્સપર્ટ સાથે પરામર્શ ચાલી રહી છે અને આ પરામર્શ પૂર્ણ થયા બાદ જ હાઇટ બેરિયર લગાવવાની બાબતે યોગ્ય અને અંતિમ નિર્ણય લેવામાં આવશે. એએમસી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, શહેરના બ્રિજની સલામતીને ધ્યાનમાં રાખીને કોઈપણ પગલું ટેકનિકલ તપાસ અને નિષ્ણાતોની સલાહ બાદ જ લેવામાં આવશે.


