સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં ભીમરાડ વિસ્તારમાં મંગળવારે (16 ડિસેમ્બર) મોડી રાત્રે એક પ્રોજેક્ટની કામગીરી દરમિયાન માટી ધસી પડી હતી. નિર્માણાધીન પ્રોજેક્ટમાં એક સાથે ત્રણ બેસમેન્ટની કામગીરી ચાલતી હતી જેમાં ડી-વોલને નુકશાન થતાં મોટા પ્રમાણમાં માટી ધસી પડી હતી. મોટા પ્રમાણમાં માટી ધસી પડતા બાજુના બે રહેણાંક બિલ્ડીંગને ખાલી કરાવવાની ફરજ પડી છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, સુરત પાલિકાના અઠવા ઝોનમાં ભીમરાડ વિસ્તારમાં બ્રાઈટસ્ટોન પ્રોજેકટ હેઠળ બિલ્ડીંગ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ટી.પી. સ્કીમ નં. 42(ભીમરાડ) ફા. પ્લોટ નં. 60 વાળી જમીનમાં ચાલતા આ પ્રોજેક્ટમાં રેસીડેન્સીયલ કમ કોમર્શિયલ બિલ્ડીંગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં એક સાથે ત્રણ બેઝમેન્ટના ખોદાણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પહેલા માટી ધસી ન પડે તે માટે ડી વોલ પણ બનાવવામાં આવી હતી. પરંતુ કામગીરી દરમિયાન કરવામાં આવેલી બેદરકારીને કારણે ગઈ કાલે મોડી રાત્રે અચાનક માટી ધસી પડી હતી. એક બાદ એક ત્રણેય બેઝમેન્ટમાં માટી ધસી પડવા સાથે ડી વોલ પણ તૂટી ગઈ હતી. આ ગંભીર બેદરકારીને કારણે બાજુમાં આવેલી શિવ રેસીડેન્સીને જોખમ ઊભું થયું હતું.
પાલિકા તંત્રને માટી ધસી પડવાની ઘટનામાં બાજુની બિલ્ડીંગને નુકસાન થાય તેવી ભીતિ જણાતા શિવ રેસીડેન્સીના બે ટાવર ખાલી કરાવ્યા છે. જોકે, આ ગંભીર બેદરકારીને કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનું કહેવું છે કે, પાલિકા અને બિલ્ડરની ગંભીર બેદરકારીનો ભોગ નિર્દોષ લોકોએ બન્યા છે. હજી પણ આ ઘટનામાં મોટી દુર્ઘટના થાય તેવો ડર છે. બિલ્ડર અને મહાનગરપાલિકાની મિલીભગતના કારણે આ દુર્ઘટના બની છે.
ઘટનાની જાણ થતા સુરત પાલિકાના મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ અને પાલિકાના અઠવા ઝોનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં છે. મધ્યસ્થ શહેર વિકાસ વિભાગે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ને નોટિસ ફટકારવા સાથે રજા ચિઠ્ઠી રદ કરવા માટે માટે કવાયત શરુ કરી છે જ્યારે ઝોન દ્વારા બાજુની બિલ્ડીંગને નુકસાન થાય તેમ હોવાથી બિલ્ડીંગ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરી છે.


