હૈદરાબાદમાં જાહેર કાર્યક્રમમાં હિરોઈનને જોઈ ચાહકો બેકાબૂ થયા. પ્રભાસની હિરોઈન નિધી અગ્રવાલ સાથે ગેરવર્તણૂંક થયાનો વીડિયો વાયરલ થયો છે. અભિનેત્રી નિધીએ તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે લોન્ચ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારે આ કાર્યક્રમમાં અચાનક ચાહકોની ભીડે તેની કારને ઘેરી લીધી. ભીડમાં લોકો નિધિ સાથે ગેરવર્તણૂંક કરવા લાગ્યા. પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે અભિનેત્રીની કાર આગળ વધી શકી નહીં અને તે બહાર નીકળી શકી નહીં. અભિનેત્રી કારમાં બેસતા જ રોવા લાગી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે ઝડપથી વાયરલ થઈ ગયો.
પ્રભાસની હિરોઈન નિધી અગ્રવાલ સાથે ભીડની ગેરવર્તણૂંકના વાયરલ વીડિયો પર ફેમસ સિંગરનો ફૂટયો ગુસ્સો. નિધિ અગ્રવાલ સાથે થયેલ આ અભદ્ર વર્તનને લઈને ફેમસ ગાયિકા ચિન્મયી શ્રીપદાની પ્રતિક્રિયા સામે આવી છે. આ ઘટનાને લઈને આક્રોશ વ્યક્ત કરતા ચિન્મયી શ્રીપદાએ ભીડમાં ખરાબ વર્તણૂંક કરનારા પુરુષોને આડેહાથ લીધા. ચિન્મયી શ્રીપદાએ પોસ્ટ શેર કરતાં લખ્યું, કેટલાક પુરુષો પશુઓ કરતાં પણ ખરાબ વર્તન કરી રહ્યા છે. શા માટે જાનવરનું પણ અપમાન કરવું. કારણ કે પુરુષો જયારે ભીડમાં હોય છે ત્યારે જાનવરથી પણ બદતર બને છે. જો પુરુષો આ રીતે જ સ્ત્રીને હેરાન કરશે તો ભગવાને આ બધાને લઈને જઈને બીજા ગ્રહ પર છોડી દેવા જોઈએ.

આ ઘટનાના વીડિયોમાં દેખાય છે કે કાર્યક્રમનું સ્થળ છોડી નિધિ અગ્રવાલ પોતાની કાર સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહી છે. આ સમયે ભીડ તેને ઘેરી લે છે અને મહામહેનતે લોકોને ધક્કો મારતા તે કાર સુધી પહોંચે છે. તેની સુરક્ષા ટીમ હાજર હોવા છતાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ તે આશ્ચર્ની વાત છે. અભિનેત્રીને જોવા લોકો એટલા બધી પડાપડી કરતા હોય છે કે સુરક્ષા ગાર્ડ તેમને ધક્કો મારીને નિધિને પરાણે કારની અંદર બેસાડે છે. ભીડ સાથે વધુ લડાઈ બાદ આખરે નિધિ અગ્રવાલને કારની અંદર પ્રવેશવામાં સફળતા મળે છે. આ ઘટનાથી નિધિ અગ્રવાલ સ્પષ્ટપણે આઘાત અને અસ્વસ્થ દેખાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભીડ એટલી મોટી હતી કે થોડા સમય માટે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.
પ્રભાસ અભિનીત ફિલ્મ ‘ધ રાજા સાબ’ તેની જાહેરાત થઈ ત્યારથી જ સમાચારમાં છે. બુધવારે (17 ડિસેમ્બર) ના રોજ, નિર્માતાઓએ ફિલ્મના ગીત “સહાના સહાના” ને લોન્ચ કરવા માટે હૈદરાબાદમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ જયારે નિધિ અગ્રવાલ પોતાની કારમાં જતી હતી ત્યારે ભીડ તેનો ઓટોગ્રાફ લેવા પડાપડી કરવા લાગી અને ગેરવર્તણૂંક કરી. પ્રભાસ અને નિધિ અગ્રવાલની ફિલ્મ ‘રાજાસાબ’ 9 જાન્યુઆરી 2026 ના રોજ રિલીઝ થશે. જો કે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ કલાકારો સમાચારોની હેડલાઈન બની રહ્યા છે.


