ગામના ત્રણ-ત્રણ મંદિરોમાં એકસાથે ચોરી થતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. પોલીસે હાલમાં ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામે તસ્કરોએ ભારે ઉત્પાત મચાવતા એક જ રાતમાં ગામના ત્રણ પવિત્ર મંદિરોને નિશાન બનાવ્યા છે. તસ્કરોએ ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિર, ખોડિયાર માતાજીનું મંદિર અને હનુમાનજી મંદિરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. મંદિરમાં રહેલી દાનપેટીઓને કુહાડી કે અન્ય હથિયારો વડે તોડી નાખી તેમાં રહેલી લાખોની રોકડ રકમની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. સવારે જ્યારે પૂજારી અને શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા ત્યારે મંદિરોમાં થયેલી તોડફોડ અને ચોરીની જાણ થતા આખા ગામમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં તસ્કરો મોઢે રૂમાલ બાંધીને ચોરી કરતા નજરે પડી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ પ્રાંતિજ પોલીસનો કાફલો પોગલુ ગામે દોડી આવ્યો હતો અને CCTV ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. ગામના ત્રણ-ત્રણ મંદિરોમાં એકસાથે ચોરી થતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે. પોલીસે હાલમાં ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદ લઈને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


