રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ મેળાને ખુલ્લો મૂક્યો; ૨૧ ડિસેમ્બર સુધી ચાલનારા મેળામાં ‘વોકલ ફોર લોકલ’નો મંત્ર ગુંજશે
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય જિલ્લા સ્તરીય “સશક્ત નારી મેળા”નો રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાના હસ્તે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. ૧૯ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન ચાલનારા આ મેળામાં આશરે ૧૦૦ જેટલા સ્ટોલ્સના માધ્યમથી મહિલા સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી હસ્તકલા, ગૃહઉદ્યોગ ઉત્પાદનો અને મિલેટ આધારિત વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આ મેળો મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું જીવંત પ્રતિબિંબ છે અને રાજ્ય સરકાર બહેનોને ‘લખપતિ દીદી’ તેમજ ‘ડ્રોન દીદી’ જેવી યોજનાઓ દ્વારા આર્થિક રીતે પગભર બનાવવા કટિબદ્ધ છે. ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ડી.કે. સ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા અને કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે આયોજિત આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક મહિલા ઉદ્યોગ સાહસિકોને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે.



