પોરબંદર શહેરના કમલાબાગ વિસ્તારમાં આવેલ એમ.ઈ.એમ. પ્રાથમિક શાળા ખાતે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ (PM POSHAN) યોજના અંતર્ગત પરંપરાગત તથા સ્વસ્થપ્રદ વાનગીઓની જિલ્લા કક્ષાની મધ્યાહ્ન ભોજન રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓમાં ફરજ બજાવતા મધ્યાહ્ન ભોજનના રસોઈયા ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર રસોઈયા બહેનોને પ્રોત્સાહિત કરી બાળકોના પોષણમાં તેમની મહત્વની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
PM POSHAN યોજનાના હેતુ મુજબ શાળાના બાળકોને પૌષ્ટિક અને સ્વસ્થ આહાર ઉપલબ્ધ કરાવવો તેમજ ગુજરાત રાજ્યની પરંપરાગત વાનગીઓના પ્રચાર-પ્રસાર માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ તાલુકા કક્ષાએ યોજાયેલી રસોઈ સ્પર્ધામાં વિજેતા બનેલ સ્પર્ધકો માટે આ જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.
સ્પર્ધા દરમિયાન રસોઈયા બહેનો દ્વારા સ્થાનિક અને પૌષ્ટિક અનાજમાંથી તૈયાર કરેલી સ્વસ્થપ્રદ તથા પરંપરાગત વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. આ વાનગીઓ દ્વારા બાળકોના આરોગ્ય, પોષણ અને ઘરેલુ પરંપરાગત ખોરાકના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાની આ રસોઈ સ્પર્ધા અંગે વિસ્તૃત માહિતી આપતા નાયબ કલેક્ટર કચેરી, એમ.ડી.એમ. શાખા, પોરબંદરના બુલબુલબા બી. જાડેજાએ જણાવ્યું હતું કે, PM POSHAN યોજના અન્વયે ગાંધીનગર કચેરી દ્વારા પૂર્વ આયોજન મુજબ તા. ૧૩/૧૨/૨૦૨૫ના રોજ સમગ્ર પોરબંદર જિલ્લામાં તાલુકા કક્ષાએ મધ્યાહ્ન ભોજનના રસોઈયા ભાઈ-બહેનો વચ્ચે ગુજરાત રાજ્યની સ્વસ્થપ્રદ વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી. તાલુકા કક્ષાએ પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકો માટે આજે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યોજનાનો મુખ્ય હેતુ એવો છે કે સ્પર્ધામાં પસંદ થનાર સ્વસ્થપ્રદ વાનગીઓ અંગે ગાંધીનગર ખાતે દરખાસ્ત મોકલી શાળાઓના મધ્યાહ્ન ભોજન મેનુમાં આવી વાનગીઓને સામેલ કરવાની ભલામણ કરવામાં આવે.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા* કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી. રાજપૂત સહિત સંબંધિત અધિકારીઓ, શિક્ષકો અને ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્પર્ધકોને ઉત્સાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે PM POSHAN યોજનાના ઉદ્દેશો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યક્રમ કમિશનરશ્રી, PM POSHAN યોજના, ગાંધીનગર તથા ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
રિપોર્ટર : વિરમભાઈ કે. આગઠ


