દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની ઢઢેલા-ઇટાવા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રીને બીલો મંજૂર કરવા અને સીસી ફોર્મ ભરવાની અવેજમાં લાંચ લેતા ઝાલોદ બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે.

આ કામના ફરિયાદીને વર્ષ 2024માં ઢઢેલા અને ઇંટા ગામ ખાતે આર.સી.સી. રોડ તથા સામુહિક શૌચાલયના કામની વહીવટી મંજૂરી મળી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ, તલાટી-કમ-મંત્રી અભિનંદન સંજયકુમાર પરમારે (વર્ગ-૩) આ કામના સીસી ફોર્મ ભરવા અને બીલો મંજૂર કરવાની કાર્યવાહી કરવા માટે કુલ ₹30,000 ની લાંચની માંગણી કરી હતી.
આરોપી તલાટી અગાઉ ફરિયાદી પાસેથી કટકે-કટકે ₹17,500 રોકડા તથા ₹2,000 મેળવી ચુક્યા હતા. આ ઉપરાંત, તેણે ફોન-પે (Phone Pe) દ્વારા પણ બે વાર ₹2,500 અને ₹500 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. બાકી નીકળતા ₹5,000 ની ઉઘરાણી ચાલુ રાખતા ફરિયાદીએ ટોલ ફ્રી નંબર 1064 પર એસીબીનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી પંચમહાલ એકમ દ્વારા ઝાલોદ બસ સ્ટેશનના મેઇન ગેટ બહાર રોડ ઉપર ચાની લારી નજીક લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તલાટી અભિનંદન પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચની હાજરીમાં ₹5,000 ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગેહાથ દબોચી લીધો હતો.
ટ્રેપ કરનાર અધિકારી એમ.એમ. તેજોત (પો.ઈન્સ., મહીસાગર એસીબી), સુપરવિઝન બી.એમ. પટેલ (મદદનીશ નિયામક, એસીબી ગોધરા) અને ઇન્ચાર્જ અધિકારી બળદેવ દેસાઇ, IPS (નાયબ નિયામક, વડોદરા રેન્જ)
એસીબીએ લાંચની રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


