શહેરમાં એ.ક્યુ.આઈ (એર ક્વોલિટી ઇન્ડેક્સ) બિનઆરોગ્યપ્રદ સ્તરે પહોંચી જતાં નગરજનોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો થયો હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મ્યુ. કમિશ્રર, જી.પી.સી.બી.(ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોડી, આર.ટી.ઓ. અને પો. કમિશ્નરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. સાથે જ આ મુદ્દે મુખ્યમંત્રીને પણ જાણ કરવામાં આવી છે.
સમિતિ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, શહેરની હવામાં ઝીણા અને હાનિકારક પાર્ટીકલ્સનું પ્રમાણ વધતાં શ્વાસ સંબંધિત રોગોનું જોખમ વધી રહ્યું છે. આ સ્થિતિ માત્ર માનવ સ્વાસ્થ્યને જ નહીં પરંતુ સોલાર પેનલ, એસી ફિલ્ટર, વાહનના એન્જિન, ઈલેક્ટ્રોનિક સાધનો અને ખુલ્લામાં વેચાતા ખાદ્ય પદાર્થોને પણ અસર કરે છે.રજૂઆતમાં હવાની ગુણવત્તા બગડવા માટે અનેક કારણો દર્શાવવામાં આવ્યા છે, જેમાં મોટા બાંધકામો, ડિમોલિશન, આર.એમ.સી. (રેડી મિક્સ કોંક્રિટ) પ્લાન્ટ, રસ્તાના ખોદકામની ધૂળ, ધુમાડો કાઢતા સરકારી વાહનો, બી.એચ.સી./ડી.ડી.ટી. પાવડરનો છંટકાવ, જૂના ટાયર અને વાયર સળગાવવાની ઘટનાઓનો સમાવેશ થાય છે. એ.ક્યુ.આઈ વધતા એરપોર્ટ પર ફ્લાઇટ રદ કરવાની પરિસ્થિતિ પણ સર્જાય છે તેમ જણાવાયું છે.
સમિતિએ સૂચન કર્યું છે કે, શહેરના ચાર રસ્તા અને તળાવો પર પાણીના ફુવારા વધારવા, વીઆઈપી મુલાકાત દરમિયાન પાવડર છંટકાવ બંધ કરવા, જનજાગૃતિ અભિયાન ચલાવવા તથા માસ્ક ઉપલબ્ધ કરાવવા જોઈએ. ઉપરાંત જી.પી.સી.બી. દ્વારા ઉદ્યોગો અને આર.એમ.સી. પ્લાન્ટ પર કડક નિયંત્રણ,આર.ટી.ઓ. દ્વારા ધુમાડો કાઢતા વાહનો સામે કાર્યવાહી અને પોલીસ દ્વારા જનરેટર, ડી.જે. તથા ઓવરલોડ વાહનો પર નિયંત્રણ જરૂરી હોવાનું જણાવ્યું છે.


