દેશની ક્રિપ્ટોકરન્સી બજારમાં સંસ્થાકીય રોકાણકારોના સહભાગમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. મુડરેકસ, ઝેબપે, કોઈનસ્વિચ જેવા દેશના ક્રિપ્ટો એકસચેન્જમાં વર્તમાન વર્ષમાં ઈન્વેસ્ટમેન્ટસમાં ૩૦થી ૫૦ ટકા જેટલો વધારો થયો છે.

આ એકસચેન્જો પરના વેપાર વોલ્યુમમાં સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો નોંધપાત્ર ઊંચો જોવા મળે છે.
વૈશ્વિક સ્તરના એકસચેન્જ બિનાન્સમાં સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો ૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં ૧૪ ટકા જેટલો વધ્યો છે. ક્રિપ્ટો માર્કેટના સંદર્ભમાં સંસ્થાકીય રોકાણકારોની વ્યાખ્યામાં હાઈ નેટવર્થ ઈન્ડિવિડયૂઅલ (એચએનઆઈ), અલ્ટ્રા એચએનઆઈ, કંપનીઓનો મુખ્યત્વે સમાવેશ થાય છે.
ભારતમાં ક્રિપ્ટો માર્કેટસમાં નિયમનકારી અનિશ્ચિતતાને કારણે સેબી નિયંત્રિત સંસ્થાકીય રોકાણકારો ક્રિપ્ટોકરન્સીઝમાં વેપાર કરવાથી દૂર રહે છે. ભારતમાં ક્રિપ્ટોનો સ્વીકાર હજુ પ્રારંભિક સ્તરે હોવાથી એચએનઆઈ રોકાણકારો તેમના એકંદર પોર્ટફોલિઓમાં ૨થી ૫ ટકા જ ક્રિપ્ટોસમાં ફાળવી રહ્યા હોવાનું એક રિપોર્ટમાં દાવો કરાયો હતો.
ભારતના એકસચેન્જોમાં વધુ પડતો વેપાર બિટકોઈન, એથરમ, સોલાના તથા રિપલ જેવા ઊૅંચી લિક્વિડિટી ધરાવતા કોઈન્સમાં જોવા મળે છે.


