સ્માર્ટ સિટી અમદાવાદના રસ્તા પરના જીવલેણ ખાડાઓ હવે નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે. શહેરના નરોડા રોડ પર આવેલી અરવિંદ મિલના ગેટ સામે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં પંજાબથી દર્શનાર્થે આવેલી 28 વર્ષીય યુવતીનું આયસર ટ્રકની અડફેટે આવતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

ભદ્રકાળી માતાના દર્શન કરવા પંજાબથી આવી હતી સોનાલી
મળતી માહિતી મુજબ, મૃતક યુવતીની ઓળખ સોનાલી રાજેન્દ્ર આસેરી (ઉં.વ. 28) તરીકે થઈ છે. તે પંજાબથી અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી માતાના મંદિરના દર્શન કરવા માટે આવી હતી. કોને ખબર હતી કે દર્શનના ઓરતા લઈને આવેલી યુવતી માટે અમદાવાદનો આ રસ્તો અંતિમ સાબિત થશે.નરોડા તરફથી એક આયસર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહી હતી. અરવિંદ મિલના ગેટ પાસે રસ્તા પર લાંબા સમયથી એક મસમોટો ખાડો પડેલો હતો. ટ્રક ચાલકે ખાડાને કારણે અચાનક સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક સોનાલી સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે સોનાલીનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હતું.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ પોલીસે આયસર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


