બોલિવુડમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી મોટા નિર્માતાઓએ એકલા હાથે ફિલ્મ પ્રોડક્શન બંધ કર્યું છે અને તેઓ કોઈનેે કોઈ કોર્પોરેટ કંપનીની સાથે પાર્ટનરશિપમાં જ ફિલ્મો બનાવી રહ્યા છે. આ માર્ગ પર હવે સંજય લીલા ભણશાળીએ પણ પોતાની કંપની વેચી દેવાની દિશામાં સારેગામા કંપની સાથે હાથ મિલાવ્યા છે.

હાલ સારેગામાએ સંજય લીલા ભણશાળીની કંપનીમાં ૩૨૫ કરોડનું રોકાણ કર્યું છે. જોકે, આગામી કેટલાક સમયમાં જ સારેગામાનો હિસ્સો ૫૧ ટકા થઈ જશે. એટલે કે કંપની પર બહુમતી હિસ્સો સારેગામાનો બની જશે.
ભણશાળી પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડના નેજા હેઠળ સંજય લીલા ભણશાળી ‘બાજીરાવ મસ્તાની’ તથા ‘હમ દિલ દે ચુકે સનમ’ સહિતની ફિલ્મો બનાવી ચૂક્યા છે. બોલિવુડ વર્તુળોના જણાવ્યા અનુસાર હવે સંજય લીલા ભણશાળી જેવા નિર્માતાઓ જેઓ મેગા બજેટ ફિલ્મો બનાવતા હોય છે તેમના માટે એકલા હાથે ફાઈનાન્સ મેનેજ કરવું અઘરું થઈ ગયું છે. કરણ જોહર જેવા ખમતીધર નિર્માતાએ પણ પોતાની ધર્મા પ્રોડકશન્સનો ૫૦ ટકા હિસ્સો એક હજાર કરોડ રુપિયામાં આદર પુનાવાલાને વેચી દીધો છે.


