ODI વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ભારતીય મહિલા ટીમ ફરી મેદાનમાં ઉતરી છે. ટીમ શ્રીલંકા સામે ઘરેલુ મેદાન પર પાંચ મેચની T20 સીરિઝ રમી રહી છે, જે આવનારા T20 વર્લ્ડ કપની તૈયારીનો મહત્વપૂર્ણ ભાગ છે
ODI વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ભારતીય મહિલા ટીમ ફરી મેદાનમાં ઉતરી છે. ટીમ શ્રીલંકા સામે ઘરેલુ મેદાન પર પાંચ મેચની T20 સીરિઝ રમી રહી છે, જે આવનારા T20 વર્લ્ડ કપની તૈયારીનો મહત્વપૂર્ણ ભાગ છે. સીરિઝની પહેલી મેચ વિશાખાપટ્ટનમના ડૉ.વાય.એસ.રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.આ મેચ એક યુવા ભારતીય ખેલાડી માટે ખાસ બની રહી, કારણ કે તેણે અહીંથી પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી છે.
આ મેચ સાથે 19 વર્ષીય સ્પિનર વૈષ્ણવી શર્માએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું છે. મેચ શરૂ થાય તે પહેલાં ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે વૈષ્ણવીને તેની પહેલી આંતરરાષ્ટ્રીય કેપ સોંપી હતી. વૈષ્ણવીના તાજેતરના પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી રહ્યા છે, જેના કારણે તેને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે.

વૈષ્ણવી શર્માએ ઘરેલુ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શનથી પોતાની ક્ષમતા સાબિત કરી છે. તાજેતરમાં યોજાયેલી સિનિયર મહિલા T20 ટ્રોફીમાં તેણે મધ્યપ્રદેશ માટે 11 મેચમાં 21 વિકેટ ઝડપી હતી, જે ટુર્નામેન્ટમાં સૌથી વધુ હતી. આ ઉપરાંત, સિનિયર મહિલા ઇન્ટર-ઝોનલ T20 સ્પર્ધામાં સેન્ટ્રલ ઝોન તરફથી રમતાં તેણે 5 મેચમાં 12 વિકેટ મેળવી હતી.
આ વર્ષની શરૂઆતમાં યોજાયેલા અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં પણ વૈષ્ણવી શર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે ટુર્નામેન્ટમાં કુલ 17 વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની હતી. ખાસ વાત એ છે કે તે અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારી એકમાત્ર ભારતીય ખેલાડી પણ છે.વૈષ્ણવી શર્મા મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરની રહેવાસી છે. તે ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાંથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સુધી પહોંચનાર એકમાત્ર ખેલાડી છે. તેના પિતા નરેન્દ્ર શર્મા વ્યવસાયે જ્યોતિષી છે. વૈષ્ણવીની સફળતા પાછળ તેના માતા-પિતાનો મહત્વપૂર્ણ સહયોગ અને સમર્થન રહ્યું છે.


