આર્ટ ઓફ લિવિંગના વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ના ભાગરૂપે ૨૧ ડિસેમ્બરે આધ્યાત્મિક ગુરુ અને વૈશ્વિક માનવતાવાદી નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા ન્યુયોર્ક થી યૂટ્યુબ ચેનલના લાઇવ મધ્યમથી વૈશ્વિક ધ્યાન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત સહિત સમગ્ર વિશ્વના કરોડો લોકો એકસાથે ગુરુદેવના માર્ગદર્શન હેઠળ ધ્યાનમાં જોડાયા હતા.
આ મહત્વપૂર્ણ અવસરે આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટર દ્વારા તેમના સનફાર્મા રોડ પર આવેલ મુખ્ય કેન્દ્રનું પુનઃ આરંભ કરવામાં આવ્યું અને સાથે સાથે ત્યાં નવા “એક્સપિરિયન્સ સેન્ટર”નું પણ ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કેન્દ્ર ધ્યાન, શ્વાસપ્રક્રિયા, યોગ અને સેવા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ માટે સમર્પિત રહેશે તેમજ વડોદરાના નાગરિકો ત્યાં આવીને નિઃશુલ્ક ધ્યાન સત્રોનો લાભ પણ લઈ શકશે. આર્ટ ઓફ લિવિંગ ના વિવિધ શિબિરો અને કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી આ કેન્દ્રમાં મળી રહશે. આયુર્વેદ આધારિત નાડી પરીક્ષણ દ્વારા સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન પણ મળશે. તદુપરાંત સેંટર પર ‘શ્રી શ્રી તત્વ’ ના આયુર્વેદિક ઉત્પાદનો ઉપલબ્ધ કરાવતું વિશેષ સ્ટોર પણ કાર્યરત રહેશે. આ સેન્ટર દરરોજ સવારે ૧૦ થી સાંજે ૬ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. વિશ્વ ધ્યાન દિવસ ના ઉપલક્ષ માં આર્ટ ઓફ લિવિંગ દ્વારા વડોદરા વાસીઓ માટે સ્વાસ્થ્ય અને શાંતિ માટે આ સેંટર એક ઉત્તમ ભેટ છે.

આર્ટ ઓફ લિવિંગ વડોદરા ચેપ્ટરનો વિશ્વ ધ્યાન દિવસનો મુખ્ય કાર્યક્રમ આ મુખ્ય કેન્દ્ર (એક્સપિરિયન્સ સેંટર) પર યોજાયો હતો જેમા ૩૦૦થી વધુ લોકોએ લાઈવ પ્રસારણ ના માધ્યમથી ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી દ્વારા માગદર્શિત ધ્યાનનો અનુભવ કર્યો હતો. વિશ્વ ધ્યાન દિવસના સપ્તાહ દરમ્યાન વિવિધ જગ્યાઓ જેમ કે શૈક્ષણિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, સેન્ટ્રલ જેલ વગેરેમાં આર્ટ ઓફ લિવિંગના પ્રશિક્ષિત શિક્ષકો અને યુવાચાર્યો દ્વારા ધ્યાન સત્રો યોજાયા હતા. વિશ્વ ધ્યાન દિવસના મહત્વને ઉજાગર કરતા આ કાર્યક્રમો દ્વારા માનસિક આરોગ્ય, આંતરિક શાંતિ અને માનવ મૂલ્યો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ અવસર પર શહેરભરના આશરે ૫૦૦૦ જેટલા લોકોએ ભાગ લઈ ધ્યાન દ્વારા શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ કર્યો હતો.
આ ઉપરાંત વડોદરા પોલીસના મુખ્ય મથક ખાતે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો માટે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ધ્યાન સત્ર નું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ ધ્યાન દિવસના વૈશ્વિક સ્તરના ઉજવણીના ભાગરૂપે, ૧૭ ડિસેમ્બરે યુનાઇટેડ નેશન્સના જિનેવા સેન્ટર ખાતે તથા ૧૯ ડિસેમ્બરે યુનાઇટેડ નેશન્સના ન્યુયોર્ક સેન્ટર ખાતે ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એ મુખ્ય પ્રવચન આપી સભા ને સંબોધન આપ્યુ હતું અને ઉપસ્થિત મહાનુભાવોને ધ્યાનનો અનુભવ પણ કરાવ્યો હતો. આ સત્રોમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) તેમજ વિવિધ દેશના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.


