નેશનલ હાઈવે પર અંકલેશ્વર નજીક આવેલા મુલદ ટોલનાકા પાસે એક ચાલુ હાઈવા ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી. આ આગમાં ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ સદનસીબે ડ્રાઈવરની સતર્કતાથી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, ભરૂચ તરફ જઈ રહેલી એક હાઈવા ટ્રકના ટાયરમાં મુલદ ચોકડી નજીક અચાનક આગ લાગી હતી. આગ લાગી હોવાનું ધ્યાને આવતા જ ટ્રક ચાલકે તાત્કાલિક સમયસૂચકતા વાપરી ટ્રકને હાઈવેની સાઈડમાં ઊભી રાખી દીધી હતી અને કેબિનમાંથી બહાર કૂદી ગયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આખી ટ્રકને લપેટમાં લઈ લીધી હતી.

ઘટનાની જાણ થતા જ ઝઘડિયા જીઆઈડીસીના બે ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ટ્રકનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો.આગની આ ઘટનાને પગલે ભરૂચ તરફ જતી લેન પર અફરાતફરી મચી ગઈ હતી અને વાહનવ્યવહાર થંભી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ ટ્રાફિક પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રકને માર્ગની સાઈડમાં ખસેડી વાહનવ્યવહાર ફરી કાર્યરત કરાવ્યો હતો.


