આસામના પહાડી જિલ્લા કાર્બી આંગલોંગ અને પશ્ચિમ કાર્બી આંગલોંગમાં દબાણ ખાલી કરાવવાના મામલે ફરી એકવાર તણાવ વધ્યો છે. અશાંત કાર્બી આંગલોંગ જિલ્લામાં વિરોધીઓના બે જૂથો વચ્ચે અથડામણ બાદ હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા. જ્યારે 38 પોલીસકર્મીઓ સહિત 45 અન્ય ઘાયલ થયા હતા. હિંસક અથડામણો બાદ આસામ સરકારે સુરક્ષા કારણોસર બંને જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાલી કરાવવાના મુદ્દાને લઈને બંને જિલ્લામાં ફરી હિંસા ફાટી નીકળી હોવાથી સરકારે આ પગલું ભર્યું છે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, ‘હું પશ્ચિમ કાર્બી આંગલોંગમાં પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. આજની અશાંતિમાં બે લોકોના મોત ખૂબ જ દુઃખદ છે. શાંતિ જાળવવા માટે આવતીકાલે ખેરાનીમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે. પરિસ્થિતિ સામાન્ય થાય અને વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ આવે તે સુનિશ્ચિત કરવા માટે અમે તમામ સંબંધિત પક્ષો સાથે સતત સંપર્કમાં છીએ. મારી ઊંડાણપૂર્વકની સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. સરકાર તમામ અસરગ્રસ્ત પરિવારો સાથે ઉભી રહેશે અને તેમને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડશે.’

ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે બે જૂથ જે દબાણ ખાલી કરાવવાના સમર્થનમાં અને વિરુદ્ધ હતા, એકબીજા સામે આવ્યા. વિવાદ ઝડપથી વકર્યો, જેના કારણે પથ્થરમારો અને શારીરિક હિંસા થઈ. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે બળનો ઉપયોગ કરવો પડ્યો. ગુસ્સે ભરાયેલા ટોળાને વિખેરવા માટે તેઓએ લાઠીચાર્જ અને આંસુ ગેસના શેલનો આશરો લીધો.
અફવાઓ ફેલાતી અટકાવવા અને હિંસા બાદ શાંતિ જાળવવા માટે રાજ્યના ગૃહ અને રાજકીય વિભાગે તાત્કાલિક અસરથી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ જારી કર્યો છે. સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે સોશિયલ મીડિયા દ્વારા અસામાજિક તત્વો પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે, તેથી જાહેર શાંતિ જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ ઇન્ટરનેટ સસ્પેન્શનનો આદેશ આગામી સૂચના સુધી અમલમાં રહેશે.
વિવાદનું મુખ્ય કારણ કાર્બી આંગલોંગમાં ગેરકાયદેસર કબજો અને દબાણ ખાલી કરાવવાની ઝુંબેશ પરનો રોષ છે. આ મુદ્દા પર સ્થાનિક સંગઠનો અને બહારના જૂથો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે, જે મંગળવારે હિંસામાં પરિણમ્યો.


