સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે તારીખ (27 ડિસેમ્બર 2025) શનિવારના રોજ ભક્તિમય વાતાવરણમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને અત્યંત સુંદર પરંપરાગત વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. જેમાં કષ્ટભંજન દેવે ‘ગોવાળિયા વેશમાં’ લોકોને દર્શન આપ્યા હતા.
આજની વિશેષતા એ હતી કે મંદિરના ગર્ભગૃહને એક સુંદર ગામડાની ઝાંખી (વિલેજ થીમ)થી સજાવવામાં આવ્યું હતું. જેમાં ઘાસના છાપરાવાળું ઝૂંપડું, માટીના ઘર પર કરવામાં આવેલી સુંદર લિપણ-ભાત (વારલી આર્ટ), ગાયોના શિલ્પો અને ગ્રામીણ જીવનની પ્રતિકૃતિઓ દ્વારા હનુમાનજીના સાન્નિધ્યમાં જાણે જીવંત ગામડું ખડું થયું હોય તેવો ભાસ થતો હતો.

લોકોએ સવારે 5:30 કલાકે મંગળા આરતી તો 7:00 કલાકે શણગાર આરતીનો મોટી સંખ્યામાં હાજર લઈ લ્હાવો લીધો હતો. મંદિરના પરિસરમાં વિશેષ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો આહુતિ આપી ધન્યતા અનુભવી રહ્યા છે. પવિત્ર ધનુર્માસ દરમિયાન પારિવારિક શાંતિ માટે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં “શ્રી હનુમાન ચાલીસાના પાઠ” તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા” પાઠનો જપ યજ્ઞ કરવામાં છે. હજારોની સંખ્યામાં હરિભક્તોએ ઉમટી પડી દાદાના દિવ્ય શણગારના દર્શન કર્યા હતા અને મંદિર દ્વારા આયોજિત મહાપ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ‘જય કષ્ટભંજનદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આજે સાંજે 4:00 કલાકે દિવ્ય રાજોપચાર પૂજન થશે.


