નવી દિલ્હીમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં, રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ દેશના પ્રતિભાશાળી બાળકોને વર્ષ 2025ના ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ થી સન્માનિત કર્યા છે. આ પુરસ્કાર વિજેતાઓએ વીરતા, સામાજિક સેવા, પર્યાવરણ, રમતગમત, કલા અને સંસ્કૃતિ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં તેમની અસાધારણ સિદ્ધિઓ દ્વારા દેશનું ગૌરવ વધાર્યું છે.
બહાદુર બાળકોની પ્રેરણાદાયી ગાથાઓ પુરસ્કાર વિતરણ દરમિયાન રાષ્ટ્રપતિએ ખાસ કરીને શહીદ સાહિબઝાદાઓની વીરતાને યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સત્ય અને ન્યાય માટે પ્રાણ ન્યોછાવર કરનારા ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો આજે પણ પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. ભારતનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્યારે દેશના બાળકો ઉચ્ચ આદર્શો અને દેશભક્તિથી પરિપૂર્ણ હોય, ત્યારે દેશની મહાનતા નિશ્ચિત છે. આ પુરસ્કાર માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ દેશભરના કરોડો બાળકો માટે પ્રેરણાનું એક કિરણ છે.

આ વર્ષના વિજેતાઓમાં અનેક હૃદયસ્પર્શી સ્ટોરી સામે આવી છે. અજય રાજ અને મોહમ્મદ સિદાન પીએ પોતાની સૂઝબૂઝથી અન્યોના જીવ બચાવ્યા. તો નવ વર્ષની વ્યોમા પ્રિયા અને કમલેશ કુમારે સાહસ બતાવતા પોતાના પ્રાણની આહુતિ આપી, જેમને મરણોત્તર સન્માન અપાયું છે.
દસ વર્ષીય શ્રવણ સિંહે સીમા પર તૈનાત સૈનિકોને જોખમ વચ્ચે પણ પાણી અને દૂધ પહોંચાડી સેવા પૂરી પાડી હતી. સાત વર્ષીય વાકા લક્ષ્મી પ્રગ્નિકાએ ચેસમાં, જ્યારે વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટમાં રેકોર્ડ સર્જીને ભારતનું નામ રોશન કર્યું છે. દિવ્યાંગ દીકરી શિવાની હોસુરુએ શારીરિક મર્યાદાઓને હરાવીને રમતગમતમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.


