તેમણે અત્યંત સમજદારીપૂર્વક જણાવ્યું કે આ વિવાદમાં પટેલ સમાજ પણ પોતાની જગ્યાએ સાચો છે, કારણ કે દરેક માતા-પિતાને પોતાની દીકરીના ભવિષ્ય અને સુરક્ષાની ચિંતા હોવી સ્વાભાવિક છે.
ગુજરાતી સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો મામલો હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાટીદાર સમાજ બાદ હવે રાજકોટના ગોંડલ ખાતેથી વાલ્મિકી સમાજ પણ આ વિવાદમાં મેદાને આવ્યો છે. વાલ્મિકી સમાજે દેવાંગને સમર્થન જાહેર કર્યું છે. આ અંગે સમાજના આગેવાન ઉમંગ વાઘેલાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓ દેવાંગની પડખે ઉભા છે. જોકે, તેમણે અત્યંત સમજદારીપૂર્વક જણાવ્યું કે આ વિવાદમાં પટેલ સમાજ પણ પોતાની જગ્યાએ સાચો છે, કારણ કે દરેક માતા-પિતાને પોતાની દીકરીના ભવિષ્ય અને સુરક્ષાની ચિંતા હોવી સ્વાભાવિક છે.

આ વિવાદમાં અત્યાર સુધી બંને પક્ષે ઉગ્ર દલીલો જોવા મળી હતી, પરંતુ વાલ્મિકી સમાજના આગેવાનના આ સંતુલિત નિવેદને સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રેમલગ્નના કિસ્સામાં પરિવારની સંમતિ અને સામાજિક મર્યાદાઓનું સન્માન જળવાય તે જરૂરી છે. ગોંડલ વાલ્મિકી સમાજ દ્વારા દેવાંગને ટેકો મળતા હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. આ ઘટના સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે અને લોકો બંને પક્ષના મંતવ્યો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ સામાજિક ગજગ્રાહ શાંત પડે છે કે કેમ.


