બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર કરૂણ ઘટનાનું સાક્ષી બની છે. વાવના દેથળી ગામના એક યુવકે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકાએ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
થરાદ તાલુકાના દેવપુરા ગામ નજીક પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ પાસે ગત મોડી રાત્રિથી એક યુવક ગુમ હોવાના સમાચાર મળતા દોડધામ મચી ગઈ છે. વાવ તાલુકાના દેથળી ગામનો આ યુવક ગત રાત્રે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. પરિવારજનોએ શોધખોળ કરતા કેનાલના કાંઠેથી યુવકના ચપ્પલ મળી આવતા તેણે કેનાલમાં પડતું મૂક્યું હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવકના ચપ્પલ કેનાલ કિનારેથી મળી આવતા સ્થાનિક પોલીસ અને તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી.

હાલમાં સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા કેનાલના ઊંડા પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. કેનાલનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે, છતાં પણ યુવકનો પતો મેળવવાના પૂરતા પ્રયાસો ચાલુ છે. યુવક કયા કારણોસર મોડી રાત્રે ઘર છોડીને નીકળી ગયો અને તેણે આ આત્યંતિક પગલું કેમ ભર્યું, તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી. એકના એક યુવાન પુત્રના ગુમ થવાથી દેથળી ગામના પરિવારમાં ભારે આક્રંદ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


