ગુજરાતમાં આત્મહત્યાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના ડીંડોલી વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી એક 17 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, જ્યારે પરિવારના તમામ સભ્યો ઘરમાં સૂતા હતા, ત્યારે 17 વર્ષીય વિદ્યાર્થિનીએ અચાનક આ અંતિમ પગલું ભર્યું હતું. સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે દીકરીની હાલત જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિનીના આવા પગલાથી પરિવાર સ્તબ્ધ છે.

ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હજુ સુધી આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. પોલીસે વિદ્યાર્થિનીના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. શું અભ્યાસનું ભારણ હતું કે અન્ય કોઈ અંગત કારણ? તે દિશામાં પોલીસે પરિવારજનોની પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને પગલે મૃતક વિદ્યાર્થિનીના પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આશાસ્પદ દીકરીના નિધનથી ડીંડોલી વિસ્તારમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.


