કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશાનુસાર ‘મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૫’ (SSR) અંતર્ગત વાગરા તાલુકામાં મતદાર યાદી શુદ્ધિકરણની પ્રક્રિયા વેગવંતી બની છે. જે મતદારોએ અગાઉ પૂરતા દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા નથી, તેવા મતદારોને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારી વાગરા મામલતદાર કચેરી ખાતે સુનાવણી માટે બોલાવવામાં આવતા મતદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.

વાગરા તાલુકામાં કુલ ૪,૩૦૦ જેટલા મતદારોના પુરાવાઓ પડતર હોવાનું સામે આવ્યું છે. આ પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા દરરોજ સરેરાશ ૧૫૦ મતદારોને સુનાવણી માટે તેડાવવામાં આવી રહ્યા છે. સુનાવણી દરમિયાન મતદારોએ પોતાના રહેઠાણ અને ઓળખના દસ્તાવેજો રજૂ કરી યાદીમાં પારદર્શિતા લાવવા માટે સહયોગ આપ્યો હતો. મતદાર યાદીને ક્ષતિરહિત અને વિશ્વસનીય બનાવવાની આ કવાયતને લોકશાહીના મજબૂતીકરણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


