કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાંથી સોનાના ઘરેણાની ચોરીના હાઈ-પ્રોફાઈલ મામલે SITએ મોટી કાર્યવાહી કરી છે. સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારી (તંત્રી) કંડારારુ રાજીવારુની સોનાની ચોરીના કેસમાં પૂછપરછ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહી મંદિર પરિસરમાંથી કિંમતી સોનાના દાગીના ગાયબ થવાના કેસની તપાસ દરમિયાન કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ મંદિરમાંથી સોનાની ચોરીનો મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. મામલાની ગંભીરતાને જોતા સરકારે SITની રચના કરી હતી.તપાસમાં એ સામે આવ્યું છે કે, ચોરીની મંદિરના અંદરના પક્ષ સાથે જોડાયેલી હોઈ શકે છે. પૂજા સામગ્રી અને ઘરેણાઓ સુધી સીધી પહોંચ ધરાવતા મંદિરના સૌથી વરિષ્ઠ ધાર્મિક અધિકારી, મુખ્ય પૂજારી કંડારારુ રાજીવારુની ખાસ પૂછપરછ કરવામાં આવી રહી છે. SITને શંકા છે કે તેઓ આ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

પૂજારીની અટકાયતે આ સમગ્ર મામલાને વધુ સંવેદનશીલ બનાવી દીધો છે. આ ઉપરાંત અન્ય કર્મચારીઓ અને અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સબરીમાલા મંદરમાં ચોરીનો મામલો માત્ર ધાર્મિક આસ્થાથી જ નહીં પરંતુ રાજકીય દ્રષ્ટિથી પણ ખૂબ સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે.કેરળમાં આવેલું સબરીમાલા મંદિર ભારતના સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ યાત્રાધામોમાં સ્થાન ધરાવે છે. સબરીમાલા મંદિર ભગવાન અયપ્પાનું પ્રમુખ તીર્થસ્થળ છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. મંદિરમાં ચઢાવવામાં આવેલા સોનાના ઘરેણા અને અન્ય કિંમતી વસ્તુઓનો મોટો સંગ્રહ છે.
સબરીમાલા વિશ્વના સૌથી મોટા વાર્ષિક તીર્થસ્થાનોમાંનું એક છે. એવો અંદાજ છે કે, દર વર્ષે અહીં 1 થી 5 કરોડ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. આટલી મોટી સંખ્યા તેને ભારતના મુખ્ય મંદિરોમાંનું એક બનાવે છે.આ મંદિર ભગવાન અયપ્પાને સમર્પિત છે, જેમને ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના સ્ત્રી સ્વરૂપ મોહિનીના પુત્ર માનવામાં આવે છે. આ મંદિર શૈવ અને વૈષ્ણવ પરંપરાઓના સંગમનું પ્રતિક છે.સબરીમાલાની યાત્રા તેની કઠોર તપસ્યા માટે જાણીતી છે. શ્રદ્ધાળુઓ યાત્રા પહેલા 41 દિવસનું કઠોર વ્રત (મંડલમ) રાખે છે, જેમાં બ્રહ્મચર્યનું પાલન, સાત્વિક ભોજન, અને અન્ય નિયમોનો સમાવેશ થાય છે. આ કઠોર તપસ્યા આ યાત્રાને આધ્યાત્મિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ બનાવે છે.
આ મંદિર પશ્ચિમ ઘાટની પર્વતમાળાઓમાં, 18 પહાડીઓની વચ્ચે અને પેરિયાર ટાઈગર રિઝર્વના ગાઢ જંગલોમાં આવેલું છે. તેનું કુદરતી અને રમણીય સ્થાન યાત્રાને વધુ વિશિષ્ટ બનાવે છે.આમ, યાત્રાળુઓની વિશાળ સંખ્યા, ધાર્મિક મહત્વ અને યાત્રાની વિશિષ્ટ પરંપરાઓને કારણે સબરીમાલા મંદિર નિઃશંકપણે ભારતના મોટા અને મુખ્ય મંદિરોમાં ગણાય છે.


