બગદાણાની ઘટનાના પીડિત નવનીતભાઈ બાલધિયાને ન્યાય અપાવવા માટે આ મંચ પરથી એક મોટી જાહેરાત કરવામાં આવી જો ન્યાય નહિ મળે તો આવતા દિવસોમાં એક લાખ કોળી સમાજનું સંમેલન યોજાશે
બોટાદના તરઘરા ગામે તાજેતરમાં કોળી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ માત્ર શૈક્ષણિક પ્રોત્સાહન પૂરતો સીમિત ન રહેતા, સામાજિક ન્યાય માટેના એક મોટા પ્લેટફોર્મમાં ફેરવાઈ ગયો હતો. બગદાણાની ઘટનાના પીડિત નવનીતભાઈ બાલધિયાને ન્યાય અપાવવા માટે આ મંચ પરથી એક મોટી જાહેરાત કરવામાં આવી જો ન્યાય નહિ મળે તો આવતા દિવસોમાં એક લાખ કોળી સમાજનું સંમેલન યોજાશે.

બગદાણામાં નવનીતભાઈ બાલધિયા સાથે બનેલી ઘટનાને લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોનું માનવું છે કે હજુ સુધી આ બાબતે યોગ્ય ન્યાય મળ્યો નથી. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે હવે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું સામાજિક સંમેલન યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડે વિદ્યાર્થી સન્માન સમારોહ દરમિયાન જાહેરાત કરી હતી કે જો આગામી દિવસોમાં નવનીતભાઈ બાલધિયાને ન્યાય નહીં મળે તો બોટાદના તરઘરા ગામે એક લાખ કોળી સમાજના લોકોનું વિશાળ સંમેલન યોજાશે.
આ સંમેલન ગુજરાતમાં કોળી સમાજનું પ્રથમ અને ઐતિહાસિક સંમેલન હશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યાયની માંગ કરવાનો રહેશે.આ કાર્યક્રમમાં કોળી સમાજના દિગ્ગજ નેતાઓ અને આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. જેમાં મુખ્યત્વે ઉમેશભાઈ મકવાણા, ઋત્વિકભાઈ મકવાણા, પુજાભાઈ વંશ તથા સમાજના અન્ય વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.બોટાદના આ કાર્યક્રમથી સ્પષ્ટ સંકેત મળે છે કે કોળી સમાજ હવે પોતાના હક અને ન્યાય માટે સંગઠિત થઈ રહ્યો છે. જો તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં તરઘરા ગામ ન્યાય આંદોલનનું કેન્દ્ર બની શકે છે.


