વડાપ્રધાન મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શોર્ય યાત્રામાં સહભાગી થઈ ખુલ્લી જીપમાં હજારો શિવભક્તો-ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું.
વડાપ્રધાન મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વની શોર્ય યાત્રામાં સહભાગી થઈ ખુલ્લી જીપમાં હજારો શિવભક્તો-ગુજરાત અને દેશભરના પ્રવાસીઓ ભાવિકોનું અભિવાદન ઝીલ્યું હતું.સોમનાથના શંખ સર્કલથી શરૂ થયેલી આ શોર્ય યાત્રામાં વડાપ્રધાને પ્રારંભે શિવનું પ્રિય વાદ્ય ડમરું લઈ શિવભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો.હર હર મહાદેવ જય સોમનાથ ભારત કી જયના નાદ,ઋષિ કુમારોનો શંખનાદ, વૈદિક મંત્રોચ્ચાર ઉપરાંત કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતના વિવિધ રાજ્યોના કલાકારોએ 20થી વધુ પ્લેટફોર્મ પર ભારતની પ્રાચીન અને સમૃદ્ધ કલા વારસાને ઉજાગર કરતી સાંસ્કૃતિક કૃતિઓ નૃત્ય રજૂ કરી આ યાત્રાને ઐતિહાસિક અને દિવ્ય બનાવી હતી.
આ શોર્યયાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતીક બની હતી અને સોમનાથની વિરાટ અને શાશ્વત આધ્યાત્મિક ચેતનાના પણ આ શોર્ય યાત્રામાં દર્શન થયા હતા. સોમનાથ પર ૧૦૦૦ વર્ષ પહેલાં આક્રમણ છતા બમણી આધ્યાત્મિક શક્તિથી અજેય, શાશ્વત અને અતુટ શ્રદ્ધાથી દિવ્યમાન પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવની આરાધના સાથે ઐતિહાસિક બનેલી સોમનાથ સ્વાભિમાન પર્વની શોર્યયાત્રા ભારતીય સંસ્કૃતિની શક્તિને ઉજાગર કરતી હતી.ભારતની વિવિધ પરંપરા, સનાતન સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાના દર્શન થયાં હતા.વડાપ્રધાન મોદી સહભાગી થયા ત્યારે સોમનાથના શંખ સર્કલ પર હર હર મહાદેવ અને જય સોમનાથના દિવ્ય જય ઘોષ સાથે હજારો લોકોએ વડાપ્રધાનનું પુષ્પોથી સ્વાગત કર્યું હતું.વડાપ્રધાને શંખ સર્કલથી હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર વિરાટ જનમેદનીનું પણ અભિવાદન ઝીલ્યું હતું.

પ્રભાસક્ષેત્રની પુણ્યભૂમિ પર શંખ સર્કલ થી શરૂ થયેલી આ ‘શોર્યયાત્રા’ ની આગેવાની શૌર્યના પ્રતિક સમા ઘોડા પર કેસરી સાફામાં સજ્જ અને હાથમાં કેસરી ધ્વજ લહેરાવી ૧૦૮ જેટલા અશ્વસવારોએ લીધી હતી.જેમ સોમનાથની સખાતે નીકળેલાં હમીરસિંહ ગોહિલની અશ્વ પરની પ્રતિમા સોમનાથની સાંસ્કૃતિક ભવ્ય વિરાસતને અખંડ અજેય અને શાશ્વતતાના પ્રતિક સાથે યુવા પેઢીને પ્રેરણા આપે છે. એ જ રીતે ૧૦૮ જેટલા અશ્વસવારોએ હાથમાં કેસરિયો ધ્વજ લહેરાવી સનાતન સંસ્કૃતિનો સંદેશ આપ્યો હતો.શ્લોકના દિવ્ય ઉચ્ચારણ વચ્ચે ઋષિ કુમારોએ શંખનાદ કરી ડમરુના ગગન ગજાવતા નિનાદ સાથે શૌર્યયાત્રામાં સોમનાથની ભવ્યતા દિવ્યતા અને આધ્યાત્મિક ચેતનાનો સંદેશ આપ્યો હતો.
શૌર્યયાત્રામાં એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના દર્શાવતા ગુજરાતની ઓળખ સમા ગરબા, ટિપ્પણી રાસ અને કચ્છી ગરબો, તલવાર રાસ, ભરત નાટ્યમ, રાસ નૃત્ય,ઉત્તર પ્રદેશનું મયુર નૃત્ય,ખ્યાતનામ નાસિક ઢોલ દ્વારા મહાકાલ મંજીરા, દિલ્હી અને મણીપુરની લોટસ ગર્લ્સની પ્રસ્તુતી, રાજસ્થાનનું ઘૂમર નૃત્ય, પંજાબનું ગીધ્ધા ડાન્સ,મધ્યપ્રદેશનું બધાઈ અને ગુડુમ બાજા નૃત્ય, રાજસ્થાનનું ભવાઈ નૃત્ય અને ગૈર, જમ્મુ કાશ્મીરનું રૌફ નૃત્ય તેમજ કેરળ-કર્ણાટક સહિતના વિવિધ રાજ્યોના કલાકારોની પ્રસ્તુતીથી લોકો મંત્રમુગ્ધ થયાં હતાં.શોર્ય યાત્રાના સમગ્ર રૂટ પર સજાવેલા શિવજીના તાલવાદ્ય ડમરુ, ત્રિશૂળ સહિત જય સોમનાથ,હર હર મહાદેવ,ઓમ્,સ્વસ્તિક’ના આકર્ષક ફ્લોટ્સ અને ગીરની ઓળખ સમા સિંહની પ્રતિકૃતિ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.


