ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો વચ્ચે ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રતિનિધિમંડળે દિલ્હીમાં ભાજપ મુખ્યાલયની મુલાકાત લીધી હતી.Naચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય વિભાગના નાયબ મંત્રી સુન હૈયાનના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે દિલ્હીમાં ભાજપ મુખ્યાલયની મુલાકાત લીધી હતી. બેઠક દરમિયાન ભાજપના મહાસચિવ અરુણ સિંહના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે પાર્ટી-ટુ-પાર્ટી વાતચીતને આગળ વધારવાના માર્ગો પર વિગતવાર ચર્ચા કરી હતી. ભાજપના બાહ્ય સંબંધો વિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલે જણાવ્યું હતું કે, આ બેઠકનો હેતુ બન્ને પક્ષો વચ્ચે વાતચીતના માધ્યમોને મજબૂત બનાવવાનો હતો.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આ બેઠક પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટમાં કહેવાયુ છે કે, ભાજપ ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે તેના મુખ્યાલયમાં મુલાકાત કરી રહ્યું છે. દરમિયાન, ચીન જમ્મુ અને કાશ્મીરમાં શક્સગામ ખીણને પોતાનો પ્રદેશ ગણાવી રહ્યું છે. ગલવાન ખીણમાં ચીન સામે લડતા આપણા બહાદુર સૈનિકો શહીદ થઈ રહ્યા છે. ચીન ‘ઓપરેશન સિંદૂર’માં પાકિસ્તાનને ટેકો આપી રહ્યું છે.

કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે આ રાજદ્રોહ છે. જે મોદી અને તેમની પાર્ટી, ભાજપ કરી રહ્યા છે. વચન “લાલ આંખ” બતાવવાનું હતું. પરંતુ મોદી ચીન માટે “લાલ જાજમ” પાથરી રહ્યા છે. ભાજપ મુખ્યાલય ખાતે યોજાયેલી બેઠકનો મુખ્ય એજન્ડા ભાજપ અને ચીની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે પરસ્પર સમજણ વિકસાવવાનો હતો. વિજય ચૌથાઈવાલેએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, બન્ને પક્ષોએ રાજકીય સ્તરે વાતચીતને વધુ અસરકારક કેવી રીતે બનાવવી તે અંગે ચર્ચા કરી હતી.


