ઉત્તરાયણના તહેવારને આડે હવે માત્ર એક જ દિવસ બાકી છે.ત્યારે અબોલ પક્ષીઓના જીવ ન જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરૂણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર જ્યાં એક તરફ હર્ષોલ્લાસ લાવે છે, ત્યાં બીજી તરફ આકાશમાં ઉડતા અબોલ પક્ષીઓ માટે તે જીવલેણ સાબિત થાય છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા 20 જાન્યુઆરી સુધી સમગ્ર ગુજરાતમાં કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.
આંકડાકીય વિશ્લેષણ મુજબ, ઉતરાયણના મુખ્ય દિવસોમાં પક્ષીઓના ઘાયલ થવાના કિસ્સાઓમાં આઘાતજનક વધારો જોવા મળે છે. ખાસ કરીને 14મી જાન્યુઆરીએ સામાન્ય દિવસોની સરખામણીએ ઇમરજન્સી કેસોમાં 2500% અને 15 જાન્યુઆરીએ 1605% જેટલો તોતિંગ વધારો થવાની સંભાવના છે. આથી આ બે દિવસો દરમિયાન વન વિભાગ અને પશુપાલન વિભાગ હાઈ-એલર્ટ પર રહેશે.

પક્ષીઓને ત્વરિત સારવાર મળી રહે તે માટે રાજ્યભરમાં ૮૬ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. રાજ્યના 31 જિલ્લાઓમાં 37 સ્પેશિયલ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં, જ્યાં પતંગબાજીનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં વિશેષ ટીમો અને મેડિકલ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે.
જો આપને ક્યાંય પણ દોરીથી ઘાયલ થયેલું પક્ષી અથવા પશુ જોવા મળે, તો તાત્કાલિક સહાય માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર સંપર્ક કરી શકાય છે. આ નંબર પર કોલ કરવાથી નજીકની એમ્બ્યુલન્સ અથવા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી જશે.
“જીવો અને જીવવા દો” ના મંત્રને સાર્થક કરી, પક્ષીઓના અકાળે થતા મૃત્યુને અટકાવવાનો છે. તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ સવારના અને સાંજના પક્ષીઓના ઉડવાના સમયે પતંગ ચગાવવાનું ટાળે, જેથી નિર્દોષ જીવોની રક્ષા થઈ શકે.


