રિટાયર્ડ કર્મચારીએ કહ્યું કે અમને લાગ્યું કે આ વિભાગની યાદગાર છે પણ જ્યારે જાણવા મળ્યું કે આ તાંબુ છે તો અમને છેતરપિંડીનો અનુભવ થયો અને આ અમારૂ અપમાન છે.
પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ઝોનમાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વિભાગમાંથી સેવાનિવૃત થનારા કર્મચારીઓને વિદાય સમારોહમાં આપવામાં આવતા ચાંદીના સિક્કા નકલી નીકળ્યા છે. શુદ્ધ ચાંદીની જગ્યા પર આ સિક્કામાં વધારે માત્રામાં તાંબું મળી આવ્યું છે. આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે કેટલાક રિટાયર્ડ કર્મચારીઓને પૈસાની જરૂર પડવા પર તેઓ આ સિક્કાને વેચવા માટે બજારમાં પહોંચ્યા.
જ્યારે સોનીએ સિક્કાની તપાસ કરી તો સામે આવ્યું કે તેમાં ચાંદી માત્ર 0.23 ટકા છે, જ્યારે બાકીના ભાગમાં તાંબું છે. નિયમ મુજબ આ સિક્કામાં 99.9 ટકા ચાંદી હોવી જોઈએ. રિટાયર્ડ કર્મચારીએ કહ્યું કે અમને લાગ્યું કે આ વિભાગની યાદગાર છે પણ જ્યારે જાણવા મળ્યું કે આ તાંબુ છે તો અમને છેતરપિંડીનો અનુભવ થયો અને આ અમારૂ અપમાન છે.

રેલવેના વિજિલન્સની તપાસમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રેલવેએ ઈન્દોરની ફર્મ મેસસ ડાયમંડ બાઈબલ કંપનીને 3,640 સિક્કાનો ઓર્ડર આપ્યો હતો. ભોપાલના સામાન્ય ભંડારમાં કૂલ 3,631 સિક્કા આવ્યા હતા અને દરેક સિક્કાની કિંમત લગભગ 2,500 રૂપિયા આંકવામાં આવી રહી હતી. આ મુજબ કંપનીએ રેલવેને લગભગ 90 લાખ રૂપિયાથી વધારેનો ચૂનો લગાવ્યો છે.
આ મામલો સામે આવ્યા બાદ રેલવે તંત્રએ મોટા પગલા ભર્યા છે, રેલવેએ ઈન્દોરની દોષિત ફર્મ મેસર્સ ડાયમંડ બાયબલને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરી દીધી છે. ભોપાલના બજરિયા સ્ટેશનમાં રેલવે વિજિલન્સ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે. રેલવેને કેટલીક જાણકારી આપવા માટે કહ્યું છે, ત્યારબાદ દોષિત લોકોની ધરપકડ કરવામાં આવશે.


