સુરતના અરેઠના તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે પાણીની એક વિશાળ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ટાંકીની કુલ ક્ષમતા 11 લાખ લિટરની હતી. કામ પૂર્ણ થયા બાદ, ટાંકીમાં કોઈ ગળતર કે નબળાઈ છે કે નહીં તે તપાસવા માટે તેમાં 9 લાખ લિટર જેટલું પાણી ભરવામાં આવ્યું હતું. જોકે, પાણીનો ભાર આ ટાંકી ઝીલી શકી નહોતી અને જોતજોતામાં આખી ટાંકી ધરાશાયી થઈ જમીનદોસ્ત થઈ ગઈ હતી.

ટાંકી ધરાશાયી થવાની આ દુર્ઘટનામાં ત્યાં કામ કરી રહેલા 3 જેટલા મજૂરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ટાંકીમાં ભરેલું 9 લાખ લિટર પાણી એકાએક વહી જતાં આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણીની જેમ ધસમસતા પ્રવાહને કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.
હજુ તો ટાંકીનું લોકાર્પણ પણ થયું નહોતું અને પ્રથમ ટેસ્ટિંગમાં જ ટાંકી તૂટી પડતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે લાખો રૂપિયાનું સરકારી નાણું પાણીમાં ગયું છે.


