પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાવાની સાથે જ મંદિર-મસ્જિદની રાજનીતિ પણ તેજ થઈ રહી છે. આ રાજકીય ગરમાવા વચ્ચે, હવે નદિયા જિલ્લાના શાંતિપુરમાં 100 કરોડ રૂપિયાના ખર્ચે ‘બંગાળી રામ’ની થીમ પર એક ભવ્ય રામ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે.
આ પ્રસ્તાવિત મંદિર માત્ર એક ધાર્મિક માળખું જ નહીં, પરંતુ બંગાળની સાંસ્કૃતિક વિરાસતને સમર્પિત એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બનશે. આ મંદિર 15મી સદીના મહાન કવિ કૃત્તિબાસ ઓઝા દ્વારા રચિત બંગાળી રામાયણ ‘શ્રીરામ પંચાલી’થી પ્રેરિત હશે. કૃત્તિબાસ ઓઝાની રામાયણ આજે પણ દરેક બંગાળી ઘરમાં શ્રદ્ધાપૂર્વક વાંચવામાં આવે છે. આ જ ‘બંગાળી રામ’ની વિભાવનાને કેન્દ્રમાં રાખીને શાંતિપુરમાં વિશાળ રામ મંદિર અને હેરિટેજ સેન્ટર બનાવવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.

શ્રી કૃત્તિબાસ રામ મંદિર ટ્રસ્ટ, જે એક રજિસ્ટર્ડ ધાર્મિક અને જનકલ્યાણકારી સંસ્થા છે, આ મંદિરનું નિર્માણ કરાવી રહ્યું છે. આ પ્રોજેક્ટની ઔપચારિક શરુઆત રવિવારે ટ્રસ્ટના સભ્યો દ્વારા જમીનના અંતિમ સર્વેક્ષણ સાથે કરવામાં આવી. આ ટ્રસ્ટના અધ્યક્ષ શાંતિપુરના પૂર્વ તૃણમૂલ ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્ય છે, જેઓ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. તેમણે NDTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “અમે 2017થી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ, આ કોઈ ચૂંટણી પ્રોજેક્ટ નથી.”
અરિંદમ ભટ્ટાચાર્યે જણાવ્યું કે આ મંદિર માટે 15 બીઘા જમીન સ્થાનિક રહેવાસીઓ લિતન ભટ્ટાચાર્ય અને પૂજા બેનર્જીએ દાનમાં આપી છે. આ મંદિરનું નિર્માણ 100 કરોડ રૂપિયાના ખર્ચે 2028 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર સાથે સંકળાયેલા વૈદિક વિદ્વાન અર્જુન દાસતુલાને મંદિરના સત્તાવાર સંરક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં એક સાંસ્કૃતિક કેન્દ્ર, મેડિકલ કૉલેજ, એન્જિનિયરિંગ કૉલેજ અને એક સંશોધન કેન્દ્ર સ્થાપવાની પણ યોજના છે.


