રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ RCB ફ્રેન્ચાઈઝીમાં હિસ્સો ખરીદવામાં રસ દર્શાવ્યો છે.વર્તમાન ઈન્ડિયન પ્રીમિયર લીગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને હસ્તગત કરવા માટે અનેક અગ્રણી વ્યક્તિઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ટીમના માલિકી હક માટે બોલીવુડના કેટલાક નામો પણ સામે આવી રહ્યા છે.આ પહેલા રણબીર કપૂર ટીમમાં કેટલાક શેર ખરીદવાની સંભાવના ધરાવતા હોવાના સમાચાર સામે આવ્યા હતા. હવે, વિરાટ કોહલીની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા વિશે અટકળો તેજ થઈ ગઈ છે.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવી અટકળો ચાલી રહી છે કે અનુષ્કા શર્મા RCBમાં 400 કરોડ રૂપિયાનો 3 ટકા હિસ્સો ખરીદવાની તૈયારીમાં છે. આ સમાચાર મોટાભાગે વિરાટ કોહલી સાથેના તેના ક્નેક્શન અને 2025 માં RCB ની પ્રથમ ટાઈટલ જીતને કારણે વાયરલ થયા છે. ટાઈટલ જીત્યા પછી RCBની બ્રાન્ડ વેલ્યુમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આ અહેવાલોની પુષ્ટિ થઈ નથી. 400 કરોડ રૂપિયાના મૂલ્યાંકન અને 3% હિસ્સાની કોઈ સત્તાવાર સ્ત્રોત દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી. જ્યાં સુધી ફ્રેન્ચાઈઝી અથવા અનુષ્કા શર્મા દ્વારા ઔપચારિક નિવેદન જાહેર ન થાય ત્યાં સુધી આ સત્તાવાર માહિતી નથી.ટીમની માલિકીની સાથે RCB ફેન્સ માટે તેમના હોમ ગ્રાઉન્ડને લઈને વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ IPL 2026માં RCB બેંગલુરુના ઐતિહાસિક એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને બદલે અન્ય શહેરોમાં તેની હોમ મેચ રમી શકે છે.
આ સંભવિત ફેરફાર પાછળનું કારણ જૂન 2025 માં સ્ટેડિયમની બહાર થયેલી દુ:ખદ ભાગદોડ છે. આ ઘટના પછી, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનના પગલાં અંગે પ્રશ્નો ઉભા થયા છે અને તપાસ ચાલી રહી છે. પરિણામે IPL 2026 માટે આ સ્થળની ઉપલબ્ધતા શંકાસ્પદ રહે છે.
મીડિયા રિપોર્ટ મુજબ RCBએ તેના ઘરેલું મેચો માટે બે વૈકલ્પિક મેદાનો પસંદ કર્યા છે. નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમ અને રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમને વિકલ્પો તરીકે ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. બંને ઈન્ટરનેશનલ લેવલની સુવિધાઓથી સજ્જ છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ RCBનો ગઢ રહ્યો છે, જ્યાં તેમને ફેન્સનો જબરદસ્ત ટેકો મળે છે. તેથી સ્થળ બદલવું એ ટીમ માટે એક મોટો વ્યૂહાત્મક ફેરફાર હશે.


