E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeIndiaMaharashtra : હવામાં વિમાન લથડીને પટકાયું… જાણો અજિત પવારના પ્લેન ક્રેશ અંગે...

Maharashtra : હવામાં વિમાન લથડીને પટકાયું… જાણો અજિત પવારના પ્લેન ક્રેશ અંગે પ્રત્યક્ષદર્શીઓએ શું કહ્યું

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનામાં થયેલા આકસ્મિક નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત અત્યંત ભયાનક હતો.

બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર મુંબઈથી બારામતી ચાર જાહેર સભાઓને સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે આ કરુણ અકસ્માત સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વિમાન જ્યારે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું ત્યારે અચાનક તે લથડાયું હતું. રનવે એટલે કે હવાઈ પટ્ટીથી આશરે 3 કિલોમીટર પહેલા જ પાયલોટે વિમાન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને વિમાન એરપોર્ટના બદલે નજીકના ખેતરોમાં ખાબક્યું હતું.

ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે વિમાન 200 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યું હતું. જમીન પર પડતાની સાથે જ વિમાનમાં એક પછી એક 5 જોરદાર ધડાકા થયા હતા અને આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. સ્થાનિક લોકો તરત જ ડોલ અને પાણી લઈને મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ આગ એટલી ભીષણ હતી કે વિમાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત વિમાનમાં સવાર તમામ પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

બારામતીના એસપી (ગ્રામીણ) સંદીપ સિંહે જણાવ્યું હતું કે પ્લેન ક્રેશ થયા બાદ અત્યાર સુધીમાં 5 મૃતદેહો મળી આવ્યા છે અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને પ્રશાસનની ટીમો ઘટનાસ્થળે રાહત કામગીરીમાં લાગેલી છે. અજિત પવાર જે વિમાનમાં સવાર હતા તે Learjet 45XR હતું, જે હાઈ-સ્પીડ બિઝનેસ જેટ માનવામાં આવે છે. પ્લેન ક્રેશનું સાચું કારણ શું છે તેની તપાસ અત્યારે પોલીસ અને એવિએશન એક્સપર્ટ્સ કરી રહ્યા છે. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ તેમની પત્ની સુનેત્રા પવાર અને બહેન સુપ્રિયા સુલે દિલ્હીથી બારામતી જવા રવાના થયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments