મુખ્યમંત્રીએ અંબાજી કોરિડોરના આ પ્રથમ તબક્કાના જે કામોના ખાતમુહૂર્ત કર્યા છે, તેનાથી આવનારા દિવસોમાં યાત્રિકોને મલ્ટી લેવલ પાર્કિંગ, અન્ડરપાસ રોડ, યાત્રી નિવાસ પાથવે, દિવ્ય દર્શન ચોક, શક્તિપીઠ, એમ્ફી થિયેટર અને લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિતની બહુવિધ ટુરિસ્ટ એ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવશાળી સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સ્પષ્ટપણે જણાવ્યું કે, આદ્યશક્તિના પરમ ઉપાસક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આદ્યશક્તિપીઠ અંબાજીનું હોલિસ્ટિક અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી સાથે આ બહુવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ સર્વ પ્રવીણભાઈ માળી, ડૉ. જયરામભાઈ ગામીત, કમલેશભાઈ પટેલ, સ્વરૂપજી ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ પણ સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદ્યશક્તિની આરાધના અને સોમનાથ સ્વાભિમાન પર્વથી લઈને દેશના યાત્રાધામોના નવિનીકરણના કામો ‘વિકાસ ભી વિરાસત ભી’ના મંત્ર સાથે હાથ ધર્યા છે. કાશી વિશ્વનાથ કોરિડોર, મહાકાલ લોક, કેદારનાથ અને વૈજનાથ ધામ જેવા પવિત્ર સ્થળોના વિકાસને નવી ઓળખ મળી છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને પાવાગઢમાં પાંચસો વર્ષ બાદ ધ્વજારોહણ જેવી ઐતિહાસિક ઘટનાઓ પણ તેમના નેતૃત્વમાં પાર પડી છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ૫૧ શક્તિપીઠોમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા અંબાજી ધામના વિકાસ માટેનું વડાપ્રધાનનું વિઝન સાકાર થઈ રહ્યું છે.

દર વર્ષે ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું સફળ આયોજન કરવામાં આવે છે, તેમાં લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનનો લાભ લે છે. તાજેતરમાં યોજાયેલા પરિક્રમા મહોત્સવમાં પાંચ લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો હતો તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. યાત્રાધામોના વિકાસને પ્રવાસન સાથે જોડતા વડાપ્રધાનશ્રીના અભિગમને અનુસરીને અંબાજીમાં ગબ્બર ખાતે દેશનો સૌથી મોટો લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે તેમજ પરિક્રમા પથ અને સાંસ્કૃતિક વિલેજ જેવા પ્રકલ્પોથી યાત્રિકોને નવી સુવિધાઓ મળી રહી છે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં અંબાજી-તારંગા રેલ પ્રોજેક્ટથી આ વિસ્તારની કનેક્ટિવિટી મજબૂત બનશે. તેના પરિણામે યાત્રાળુઓની સુવિધા વધશે અને સ્થાનિક આર્થિક વિકાસને ગતિ મળશે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના વિવિધ યાત્રાધામોમાં અત્યાર સુધીમાં કરોડોના વિકાસકાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં વધુ વિકાસ કામોનું આયોજન કરવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પવિત્ર યાત્રાધામોના પુનરુદ્ધાર અને વિકાસ માટે જે બીડું ઝડપ્યું છે, તેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મક્કમતાથી આગળ ધપાવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આસ્થા, સંસ્કૃતિ અને શક્તિનો જ્યાં ત્રિવેણી સંગમ રચાય છે તેવા અંબાજી ધામના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. સરકારનું આ આયોજન એટલું ભવ્ય અને દૂરંદેશી છે કે અંબાજીની આ નૂતન વિકાસયાત્રાને આવનારી પેઢીઓ યુગો સુધી યાદ રાખશે.
મંત્રી જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, અંબાજી શક્તિપીઠ ખાતે દર વર્ષે ભાદરવી પૂનમના મહા મેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે આવે છે. શ્રદ્ધાળુઓની આ અટલ આસ્થાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા રૂ. ૧૬૩૨ કરોડના મેગા કોરીડોર પ્રોજેક્ટ થકી અંબાજીની કાયાપલટ કરવામાં આવશે. આ ઐતિહાસિક વિકાસ કાર્યોથી શ્રદ્ધાળુઓને અત્યાધુનિક સુવિધાઓ તો પ્રાપ્ત થશે જ, સાથે-સાથે સ્થાનિક સ્તરે નવીન રોજગારીની વિપુલ તકોનું પણ સર્જન થશે, જે બનાસકાંઠા જિલ્લાના આર્થિક વિકાસને નવી ગતિ આપશે. આ કાર્યક્રમમાં પ્રવાસન સચિવ કુલદીપ આર્યા, યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરઝા, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, અંબાજી સરપંચ સહિત વિવિધ અધિકારીઓ, પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


