પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની ટીમને T20 વર્લ્ડકપમાં રમવાની પરવાનગી આપી હતી, પરંતુ ભારત સામેની મેચને બોયકોટ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પાકિસ્તાન હવે આ નિર્ણય પર યુ-ટર્ન લઈ શકે છે.
T20 વર્લ્ડકપ 2026 શરૂ થઈ ગયો છે. 15 ફેબ્રુઆરીએ રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારત સામેની મેચનો બોયકોટ કરવાના પોતાના નિર્ણય પર યુ-ટર્ન લઈ શકે છે.PCBએ કહ્યું છે કે તે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં યોજાનારી T20 વર્લ્ડકપમાં ભારત સામેની મેચના બોયકોટ પર પુનર્વિચાર કરવા માટે સરકાર સાથે વાત કરશે. પાકિસ્તાન સરકારે PCB ને T20 વર્લ્ડકપમાં રાષ્ટ્રીય ટીમ મોકલવાની મંજૂરી આપી છે, પરંતુ તેને ભારત સામે રમવા પર પ્રતિબંધ મૂક્યો છે, જે ICC અને તેના બ્રોડકાસ્ટરો માટે સૌથી મોટી આવક ઉત્પન્ન કરતી મેચ છે.
મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલંકાએ તાજેતરમાં PCBને એક ઈમેઈલ મોકલ્યો હતો જેમાં જણાવ્યું હતું કે ભારત સામે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણયથી શ્રીલંકન ક્રિકેટને નાણાકીય નુકસાન થશે. વધુમાં તે શ્રીલંકન ક્રિકેટ અને ટુર્નામેન્ટની ઈમેજને પણ ખરાબ કરશે. પાકિસ્તાન તેની બધી મેચ કોલંબો અને પલ્લેકેલેમાં રમી રહ્યું છે. તેથી તેમને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ. એક સૂત્રના જણાવ્યા મુજબ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચેના સંબંધો હંમેશા સરકાર અને ક્રિકેટ લેવલે સારા રહ્યા છે, તેથી શ્રીલંકા ક્રિકેટ બોર્ડના ઈમેઈલને અવગણી શકાય નહીં.

મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલંકા ક્રિકેટ બોર્ડના પ્રમુખ શમ્મી સિલ્વાએ મોહસીન નકવી સાથે સીધી વાત કરી છે અને જણાવ્યું છે કે શ્રીલંકાને આ સમયે પાકિસ્તાનના સપોર્ટની જરૂર છે. જો ભારત-પાકિસ્તાન મેચ નહીં યોજાય તો શ્રીલંકા બોર્ડને ટિકિટ વેચાણ અને તે વેચાણમાંથી થતી આવકમાં નોંધપાત્ર નુકસાન થશે. આ પછી મોહસીન નકવીએ શમ્મી સિલ્વાને ખાતરી આપી છે કે તેઓ સરકાર સાથે વાત કરશે.
T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાવવાની છે. પરંતુ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં પાકિસ્તાન સરકારે મેચને બોયકોટ કરવાનો આદેશ આપ્યો હતો. મેચ થશે કે નહીં તે ભવિષ્યમાં જાણી શકાશે. આ દરમિયાન પાકિસ્તાને પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત જીત સાથે કરી છે, જેમાં તેને પહેલી મેચમાં નેધરલેન્ડ્સને 3 વિકેટથી હરાવ્યું હતું.


