ગાંધીનગર ખાતે મળેલી બ્રહ્મસમાજની મહત્ત્વની બેઠકમાં UGCના નવા નિયમો અને આગામી ફિલ્મ ‘ઘૂસણખોર પંડિત’ સામે આક્રમક લડત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સવર્ણ સમાજ સામે લાવવામાં આવેલા UGCના વિવાદાસ્પદ નિયમો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હાલમાં ભલે આ મામલે કોર્ટે સ્ટે આપ્યો હોય, પરંતુ ભવિષ્યમાં જો જરૂર પડશે તો જમીની સ્તરે ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. સરકારના આ નિયમો સવર્ણ સમાજના હિતોને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો સૂર બેઠકમાં ઉઠ્યો હતો.

બીજી તરફ, ‘ઘૂસણખોર પંડિત’ નામની ફિલ્મ સામે પણ બ્રહ્મસમાજે સખત વાંધો ઉઠાવ્યો છે. બ્રહ્મસમાજનો આરોપ છે કે આ ફિલ્મમાં બ્રાહ્મણ સમાજને નીચો દેખાડવાનો અને તેમની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સમાજની ગરિમાને ઠેસ પહોંચાડતા આવા કૃત્યો સામે હવે આંદોલન કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. ગાંધીનગરની બેઠકમાં આગામી દિવસોમાં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનો અને કાયદાકીય લડત અંગેના આયોજનો પર મંજૂરીની મહોર મારવામાં આવી છે.


