E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaRajasthan : લગ્નમાંથી પાછા આવતા 6 મિત્રોના ગમખ્વાર અકસ્માતમાં મોત

Rajasthan : લગ્નમાંથી પાછા આવતા 6 મિત્રોના ગમખ્વાર અકસ્માતમાં મોત

જયપુર-આગરા નેશનલ હાઈવે પર કૈલાઈ ગામ પાસે મંગળવાર(10 ફેબ્રુઆરી)ની રાત્રે લગભગ 11 વાગ્યે પૂરઝડપે જતી કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા કાર ડિવાડર પાર કરીને સીધી ટ્રેઈલર સાથે અથડાઈ હતી. જેમાં 6 લોકોના મોત થયા છે, જેઓ દૌસા જિલ્લાના કાલાઓ ગામના રહેવાસી હોવાનું જણાય છે. તમામ લોકો આભાનેરી ગામમાં એક લગ્ન સમારોહમાં ગયા હતા. આમ, લગ્નમાંથી પરત આવતી વખતે અકસ્માત સર્જાયો હતો.

પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, કારે અચાનક કાબૂ ગુમાવ્યો અને સીધી ડિવાઈડર કુદીને બીજી લાઈનમાં જતી રહી હતી. અકસ્માતના બનાવની જાણ થતાં સિકંદરા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં સ્થાનિક લોકોની મદદથી રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જેમાં કારમાં ફસાયેલા યુવકોને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવી પડી હતી. ટ્રેઈલરમાં ફસાયેલી કારને ભારે મહેનત બાદ કાઢવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સિકંદરા હોસ્પિટલમાં ચાર યુવકોને મૃત જાહેર કરવામાં આવ્યા. જ્યારે અન્ય બે યુવકને પ્રાથમિક સારવાર બાદ દૌસા રિફર કરાયા હતા. જેમાંથી એક યુવકનું દૌસામાં મોત થયું હતું, જ્યારે બીજાને ગંભીર હાલતમાં જયપુરની SMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આમ, અકસ્માતમાં કુલ 6 યુવકના મોત નીપજ્યા છે.

મૃતકોની ઓળખ સમયસિંહ રામસિંહ યોગી(ઉં.વ.25), લોકેશ ગોવર્ધન યોગી(ઉં.વ.24), દિલખુશ બનવારી યોગી(ઉં.વ.24), મનીષ હરિમોહન યોગી(ઉં.વ.23), અંકિત લાલારામ બૈરવા(ઉં.વ.26) અને નવીન(23) તરીકે થઈ છે.એક સાથે 6 યુવકનો મોતના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બુધવારે(11 ફેબ્રુઆરી) સવારે પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments