મહારાષ્ટ્રના ચંદ્રપુર મહાનગરપાલિકાના મેયર પદની ચૂંટણીએ રાજ્યના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. મહાવિકાસ અઘાડી (MVA) માં ગાબડું પાડતા ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ભાજપને ટેકો આપ્યો છે, જેના કારણે કોંગ્રેસના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે
ચંદ્રપુર મેયરની ચૂંટણીમાં ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. આ ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ભાજપના ઉમેદવારને ટેકો આપ્યો હતો. એટલું જ નહીં, શિવસેના (ઉદ્ધવ જૂથ) ના કોર્પોરેટર પ્રશાંત દાનવ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા છે. આ ઘટનાક્રમે મહાવિકાસ અઘાડી અને ઈન્ડિયા ગઠબંધનની એકતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે, કારણ કે ઉદ્ધવ જૂથ રાજ્યમાં કોંગ્રેસનું મુખ્ય સાથી પક્ષ છે.

ચંદ્રપુર મહાનગરપાલિકામાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ હોવા છતાં મેયર પદ ગુમાવવું પડ્યું છે. કોંગ્રેસમાં વિજય વડેટ્ટીવાર અને પ્રતિભા ધનોરકર જૂથો વચ્ચે ચાલી રહેલી ખેંચતાણનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે. 66 સભ્યોની મનપામાં કોંગ્રેસ પાસે 27 બેઠકો હતી અને તેને જીતવા માટે માત્ર થોડા જ મતોની જરૂર હતી, પરંતુ અંતિમ સમયે બાજી પલટાઈ ગઈ હતી. ભાજપના ઉમેદવારને 32 મત મળ્યા, જ્યારે કોંગ્રેસને 31 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલે આ હાર માટે શિવસેના (ઉદ્ધવ જૂથ), AIMIM અને વંચિત બહુજન આઘાડીને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ ચૂંટણીમાં મોટા પાયે ‘હોર્સ ટ્રેડિંગ’ (ખરીદ-વેચાણ) થયું છે. ઉદ્ધવ જૂથના 6 કોર્પોરેટરો કોંગ્રેસને સાથ આપશે તેવી આશા હતી, પરંતુ તેમણે ભાજપ સાથે હાથ મિલાવ્યા છે. સપકાલે ચેતવણી આપી છે કે આ વિશ્વાસઘાતની અસર રાજ્યના રાજકારણ પર લાંબા સમય સુધી જોવા મળશે.


