રાજકોટ મહાનગરપાલિકાએ મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે શહેરમાં કતલખાના અને માંસ-મચ્છીના વેચાણ પર પ્રતિબંધનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
રાજકોટ શહેરમાં આગામી મહાશિવરાત્રિના પવિત્ર તહેવારની ઉજવણીને લઈને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાશિવરાત્રિના દિવસે લોકોની ધાર્મિક આસ્થા અને પર્વની પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં તમામ કતલખાનાઓ બંધ રાખવા માટેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આદેશમાં જણાવ્યા અનુસાર, મહાશિવરાત્રિના દિવસે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા મટન, ચિકન, માંસ અને મચ્છી માર્કેટ સંપૂર્ણપણે બંધ રહેશે. ખાસ કરીને રાજકોટ શહેરનું મુખ્ય સદર કતલખાનું અને મોચી બજાર ખાતે આવેલી મચ્છી માર્કેટમાં વેચાણ અને કતલ પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, આ જાહેરનામું સમગ્ર રાજકોટ શહેર વિસ્તારમાં લાગુ પડશે. જો કોઈ વેપારી કે વ્યક્તિ આ આદેશનો ભંગ કરીને માંસ-મચ્છીનું વેચાણ કરતા અથવા કતલખાના ચાલુ રાખતા ઝડપાશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગની ટીમો આ દિવસે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ પણ હાથ ધરશે.
મહાશિવરાત્રિએ શિવભક્તો ઉપવાસ અને પૂજા-અર્ચના કરતા હોય છે, ત્યારે તંત્રના આ નિર્ણયને ધાર્મિક સંગઠનો અને સ્થાનિક લોકોએ આવકાર્યો છે. દર વર્ષે તહેવારોની પવિત્રતા જાળવવા માટે મનપા દ્વારા આ પ્રકારે શૈક્ષણિક અને ધાર્મિક દિવસોએ કતલખાના બંધ રાખવામાં આવતા હોય છે.


