E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeArticleArticle : બુદ્ધિનો જંગ એક બાજુ" શકુની" અને બીજી બાજુ "ભગવાન કૃષ્ણ"

Article : બુદ્ધિનો જંગ એક બાજુ” શકુની” અને બીજી બાજુ “ભગવાન કૃષ્ણ”

મહાભારત એ બે બુદ્ધિશાળી મગજ વચ્ચેની શતરંજ જેવું હતું એક બાજુ શકુનિની ‘કુટીલ બુદ્ધિ’ હતી અને બીજી બાજુ શ્રીકૃષ્ણની ‘દિવ્ય બુદ્ધિ’.
મહાભારત આપણને શીખવે છે કે બુદ્ધિ એ એક એવું શસ્ત્ર છે જે તલવાર કરતાં પણ વધુ ઘાતક સાબિત થઈ શકે છે. પરંતુ, એ બુદ્ધિનો ઉપયોગ કયા હેતુ માટે થાય છે તે જ વ્યક્તિનું ભવિષ્ય નક્કી કરે છે. કૌરવો પાસે ગાંધાર નરેશ શકુનિનું મગજ હતું, જ્યારે પાંડવો પાસે દ્વારકાધીશ શ્રીકૃષ્ણની દૂરદર્શિતા હતી.

શકુનિની બુદ્ધિ નકારાત્મકતા, વેર અને છળ કપટથી ભરેલી હતી. તેનો ઉદ્દેશ્ય માત્ર વિનાશ હતો. શકુનિએ પાસાં ફેંકીને માત્ર રાજ્ય જ નહોતું જીત્યું, પણ ભાઈઓ વચ્ચે વેરનું બીજ વાવ્યું હતું. તેની બુદ્ધિ હંમેશા ‘બીજાનું ખરાબ કેવી રીતે કરવું’ અને ‘બીજાનું કેવી રીતે પડાવી લેવું’ તેના પર કેન્દ્રિત હતી. પરિણામ જે બુદ્ધિ બીજાના વિનાશ માટે વપરાય છે, તે અંતે પોતાનો જ કુળનો નાશ કરે છે.
શ્રીકૃષ્ણ રચનાત્મક દિવ્ય બુદ્ધિ
શ્રીકૃષ્ણની બુદ્ધિ ન્યાય, શાંતિ અને સત્યની સ્થાપના માટે હતી. તેઓ ‘યોગેશ્વર’ હતા, જેમણે રણમેદાનમાં શસ્ત્ર ઉઠાવ્યા વગર જ યુદ્ધની દિશા બદલી નાખી.
કૃષ્ણએ પણ રાજનીતિ કરી, પણ તેમનો ઉદ્દેશ્ય ધર્મની સ્થાપના કરવાનો હતો.
તેમની બુદ્ધિ મુસીબતમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતી હતી, બીજાને ફસાવવાનો નહીં.
પરિણામજે બુદ્ધિ સત્યના પક્ષમાં હોય છે, તેની હંમેશા જીત થાય છે.

દુર્યોધને શકુનિની કપટી સલાહ માનીને વિનાશ નોતર્યો, જ્યારે અર્જુને કૃષ્ણના માર્ગદર્શનમાં રહીને વિજય મેળવ્યો. આપણા જીવનમાં આપણે કોની સલાહ લઈએ છીએ (શકુનિ જેવા નકારાત્મક કે કૃષ્ણ જેવા સકારાત્મક) તે ઘણું મહત્વનું છે.
સ્વાર્થ , પરમાર્થ શકુનિનો બુદ્ધિપ્રયોગ અંગત સ્વાર્થ અને વેર માટે હતો, જ્યારે કૃષ્ણનો બુદ્ધિપ્રયોગ સમાજના કલ્યાણ માટે હતો.
બુદ્ધિ હોવી એ શક્તિ છે, પણ બુદ્ધિમાં વિવેક હોવો એ ભક્તિ છે.શકુનિ જેવું મગજ દુનિયાને જીતતા શીખવી શકે, પણ કૃષ્ણ જેવું હૃદય દુનિયાને બદલતા શીખવે છે.તમારી પાસે કેટલું તેજ મગજ છે તેનાથી કોઈ ફરક નથી પડતો, જો તમારી દાનત સાફ નથી તો એ મગજ તમારો જ વિનાશ કરશે.
બુદ્ધિશાળી હોવું પૂરતું નથી, પણ બુદ્ધિમાન હોવું જરૂરી છે. શકુનિની બુદ્ધિ પાસાં પર આધારિત હતી જે નસીબ રમે છે, જ્યારે કૃષ્ણની બુદ્ધિ ‘કર્મ’ પર આધારિત હતી જે ભાગ્ય બદલે છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણા જીવનના રથના સારથિ કોને બનાવવા છે છળ કપટના પ્રતીક શકુનિને કે ધર્મના માર્ગદર્શક શ્રીકૃષ્ણને?

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments