અમદાવાદના વિવેકાનંદનગર વિસ્તારમાં અસમાજિક તત્વો દ્વારા ધીંગાણાનો ગંભીર મામલો સામે આવ્યો છે.હાથીજણ વિસ્તારમાં આવેલી ધર્મવાટિકા સોસાયટીમાં પાર્કિંગ મુદ્દે થયેલી અદાવતના કારણે સોસાયટીના રહીશો પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો.
અમદાવાદના વિવેકાનંદનગર વિસ્તારમાં અસમાજિક તત્વો દ્વારા ધીંગાણાનો ગંભીર મામલો સામે આવ્યો છે.હાથીજણ વિસ્તારમાં આવેલી ધર્મવાટિકા સોસાયટીમાં પાર્કિંગ મુદ્દે થયેલી અદાવતના કારણે સોસાયટીના રહીશો પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે 6 આરોપીઓને ઝડપી લઈને ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કર્યું છે.
અમદાવાદમાં ગઈકાલે હાથીજણ વિસ્તારમાં આવેલી ધર્મવાટિકા સોસાયટીમાં મારામારી અને તોડફોડની ઘટના બની હતી. ફ્લેટમાં રહેતા દેવર્ષ પ્રકાશચંદ્ર શુક્લ અને યોગેશભાઈ બહાર બેઠા હતા,તે દરમિયાન દૃશ્ય ગોસ્વામી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ કાર પાર્કિંગ બાબતે દૃશ્ય ગોસ્વામી સાથે બબાલ થઈ હતી. દૃશ્ય ગોસ્વામી કાર લે વેચનો ધંધો કરે છે અને ગઈકાલે પણ કાર લઈને આવતા પાર્કિંગ મુદ્દે ફરી એકવાર વિવાદ થયો હતો.

અમદાવાદ ગ્રામ્ય ડિવાયએસપી નીલમ ગોસ્વામીએ કહ્યું હતું કે, આરોપી દ્રશ્ય ગોસ્વામી અગાઉની અદાવત અને વારંવાર થતી બબાલનો મનદુઃખ રાખીને દૃશ્ય ગોસ્વામીએ પોતાના મિત્રો બોલાવી લીધા હતા.દૃશ્ય સહિત કુલ 7 આરોપીઓએ દેવર્ષભાઈ અને યોગેશભાઈ પર છુટ્ટા હાથે મારામારી કરી અને પથ્થરો વડે હુમલો કર્યો હતો.આ સમગ્ર ઘટનાને પગલે વિવેકાનંદનગર પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 6 આરોપીઓની ધરપકડ કરી છે.એક આરોપી હજુ ફરાર છે જેની શોધખોળ ચાલુ છે.
પકડાયેલા 6 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાથીજણની ધર્મવાટિકા સોસાયટીમાં થયેલી આ ઘટનાએ પાર્કિંગ જેવા નાના મુદ્દાઓમાંથી મોટી હિંસા સર્જાવાની ચિંતા ઊભી કરી છે.પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે દૃશ્ય ગોસ્વામી અને તેના પિતા વાસુ ગોસ્વામી દ્વારા અગાઉ પણ સોસાયટીમાં મારામારીની ઘટનાઓ બની ચૂકી છે.હાલ વિવેકાનંદનગર પોલીસ સમગ્ર મામલે ગુનો નોંધી કડક કાર્યવાહી કરી રહી છે.


