ઉત્તર પ્રદેશના પરિવહન ક્ષેત્રે 22 ફેબ્રુઆરીનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોરના બાકીના હિસ્સાની સાથે સાથે મેરઠ મેટ્રોને પણ લીલી ઝંડી આપશે.
ઉત્તર પ્રદેશના પરિવહન ક્ષેત્રે 22 ફેબ્રુઆરીનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી-મેરઠ નમો ભારત કોરિડોરના બાકીના હિસ્સાની સાથે સાથે મેરઠ મેટ્રોને પણ લીલી ઝંડી આપશે. વર્ષ 2019 માં નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NCRTC) દ્વારા શરૂ થયેલું આ સ્વપ્ન હવે સાત વર્ષની મહેનત બાદ સાકાર થઈ રહ્યું છે.
આ મેટ્રો પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 23 કિમી લાંબો છે, જે મોદીપુરમ ડેપોથી શરૂ થઈને મેરઠ દક્ષિણ (Meerut South) સુધી વિસ્તરેલો છે. આ રૂટ પર કુલ 13 સ્ટેશનોનો સમાવેશ થાય છે, જે શહેરના મહત્વના વિસ્તારોને આવરી લે છે. મોદીપુરમ ડેપો, મોદીપુરમ, મેરઠ ઉત્તર, દૌરલી, MES કોલોની. બેગમપુલ, ભૈંસલી, મેરઠ સેન્ટ્રલ, બ્રહ્મપુરી. શતાબ્દી નગર, રિઠાની, પરતાપુર અને મેરઠ દક્ષિણ.

મેરઠ મેટ્રોની સૌથી મોટી વિશેષતા એ છે કે તે અલગ ટ્રેકને બદલે નમો ભારત (RRTS) ના ટ્રેક પર જ દોડશે. મુસાફરોની સુવિધા માટે મોદીપુરમ, બેગમપુલ, શતાબ્દી નગર અને મેરઠ દક્ષિણ જેવા મુખ્ય સ્ટેશનો પર બંને ટ્રેનો માટે અલગ-અલગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. જો કોઈ મુસાફર મોદીપુરમથી દિલ્હી જવા માંગતા હોય, તો તેઓ મેરઠ દક્ષિણ ખાતે ઉતરીને સરળતાથી નમો ભારત ટ્રેનમાં સવાર થઈ શકશે.
આ મેટ્રો ટ્રેન 120 કિમી/કલાકની પ્રચંડ ગતિએ દોડવાની ક્ષમતા ધરાવે છે. એક જ ટ્રેનમાં આશરે 700 મુસાફરો મુસાફરી કરી શકશે. મુસાફરોને લાંબી રાહ જોવી ન પડે તે માટે દર 7 મિનિટે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. સ્ટેશનો પર પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય અને ખાસ કરીને દિવ્યાંગો માટે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
મેરઠ મેટ્રોનું સંચાલનનો સમય સોમવારથી શનિવાર: સવારે 6.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી.
રવિવાર: સવારે 8.00 થી રાત્રે 10.00 વાગ્યા સુધી.
આ પ્રોજેક્ટના લોકાર્પણ સાથે મેરઠ ઉત્તર પ્રદેશનું છઠ્ઠું શહેર બનશે જ્યાં મેટ્રો સુવિધા ઉપલબ્ધ હોય. અગાઉ લખનૌ, કાનપુર, આગ્રા, નોઈડા અને ગાઝિયાબાદમાં મેટ્રો સેવાઓ સફળતાપૂર્વક ચાલી રહી છે. પ્રથમ તબક્કાની સફળતા બાદ ટૂંક સમયમાં બીજા તબક્કાના 13 કિમીના રૂટ પર પણ કામ શરૂ કરવામાં આવશે, જે મેરઠની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે.


