ગીરના સરહદી ગામોમાં વન્ય પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરિયા ગામમાં ગઈકાલે સાંજે સિંહના ભયથી બચવા માટે બે બળદો ગાડા સાથે કૂવામાં ખાબક્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ દુર્ઘટનામાં પાંચ કલાકના રેસ્ક્યૂ બાદ એક બળદને બચાવી લેવાયો છે, જ્યારે બીજાનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, ઉમરિયા ગામના ખેડૂત વાસુરભાઈ કામળિયા સાંજના સમયે વાડીએથી બળદગાડું જોડીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક રસ્તામાં સિંહનો ભેટો થઈ ગયો હતો. સિંહે બળદોનો શિકાર કરવા માટે તરાપ મારતા જ બળદો ભયભીત થઈ ગયા હતા. જીવ બચાવવા માટે બળદોએ દોડ મૂકી હતી અને કાબૂ ગુમાવતા ગાડા સહિત બાજુમાં આવેલા એક ઊંડા કૂવામાં ખાબક્યા હતા. ખેડૂત વાસુરભાઈએ સમયસૂચકતા વાપરી ગાડામાંથી કૂદી પડતા તેમનો આબાદ બચાવ થયો હતો.

બે બળદ કૂવામાં પડ્યાની જાણ થતા જ ગ્રામજનો અને ખેડૂતોના ટોળા ઉમટી પડ્યા હતા. કૂવો અત્યંત ઊંડો હોવાથી સ્થાનિક પ્રયાસો નિષ્ફળ રહેતા તાત્કાલિક ફાયર વિભાગ અને ક્રેનની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે 5 કલાક સુધી સતત જહેમત ઉઠાવી હતી. ક્રેન દ્વારા સાવચેતીપૂર્વક એક બળદને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. કૂવામાં પટકાવવાથી ગંભીર ઈજા અને પાણીના કારણે બીજા બળદનું મોત નિપજ્યું હતું. અંતે બળદગાડાને પણ ક્રેન વડે બહાર કાઢવામાં આવ્યું હતું.
સિંહના હુમલાને કારણે ખેડૂતે પોતાના કિંમતી પશુધન ગુમાવતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વન્ય પ્રાણીઓની અવારનવાર થતી અવરજવરને કારણે ખેતી કરવી જોખમી બની હોવાથી ગ્રામજનોએ વાડી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની અને યોગ્ય વળતર આપવાની માગ કરી છે.


