રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ આધુનિક સારવાર મળી રહે એ માટે હયાત ૨૭ ના મહેકમ માથી કુલ ૪૦ના મહેકમ પ્રમાણે નવીન મહેકમ મુજબ સામૂહિક કેન્દ્રોને અપગ્રેડ કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે.
જેના ભાગરૂપે ધાનેરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન મહેકમ મુજબ વધારાના ૫ (પાંચ) તજજ્ઞો જેવા કે, બાળરોગ નિષ્ણાંત, સ્ત્રી-રોગ નિષ્ણાંત, ફિઝિશિયન, જનરલ સર્જન, એનેસ્થેશિઓલૉજીસ્ટ અને પેરામેડિકલ સ્ટાફ જેવા કે, એકસ-રે ટેકનીશીયન, લેબોરેટરી ટેકનીશીયન, સ્ટાફ નર્સ તેમજ અન્ય વર્ગ-૩ અને વર્ગ-૪ની વધારાની જગ્યાઓ મંજુર કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જે અન્વયે આગામી વર્ષોમાં તબક્કાવાર તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં નવીન મહેકમ પેટર્ન મુજબ વધારાની જગ્યાઓ મંજૂર કરવા અને તે મુજબ જરૂરીયાત પ્રમાણે આનુંષાઞિક કાર્યવાહી કરવામાં આવશે.

આજે વિધાનસભા ખાતે ધાનેરા ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રીશ્રી ઉમેર્યું કે, સામૂહિક આરોગ્ય કેન્દ્રને ઉકત તજજ્ઞોથી સજ્જ કરી નિર્ધારિત માપદંડોને વિચારણામાં લઈને આ કામગીરી હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે, ધાનેરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ અંદર તથા બહારના દર્દીઓને સારવાર આપવામાં આવે છે જેમાં પ્રસુતિની સુવિધા, લેબ ટેસ્ટની સુવિધા સહિતની સુવિધા પણ ઉપલબ્ધ છે. બનાસકાંઠા જિલ્લામાં કેન્સરના રોગોના દર્દીઓને સારવાર માટે અન્ય એક પ્રશ્નના પ્રત્યુતરમાં તેમણે ઉમેર્યું કે, ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે આવા દર્દીઓને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવે છે અને સારવાર પૂરી પાડવામાં આવે છે.
તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે દેશભરની ૧૪ થી ૧૫ વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર ન થાય તે માટેની રસી વિનામૂલ્યે આપવાનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ આ રસીકરણ અભિયાનનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ખાતેથી થઈ રહ્યો છે. જે અભિયાન હેઠળ રાજ્યની ૧૪ થી ૧૫ વર્ષની દીકરીઓને આવરી લેવાનું આયોજન છે તેમ તેમણે ઉમેર્યું હતું.


