જામનગરના સમસ્ત બ્રહ્મસમાજ સંગઠ્ઠન (ઈન્ડિયા) ના ઉપક્રમે યોજાયેલા દ્વાદશ જ્યોતિર્લિંગ કોટિ રૂદ્રયાગ મહામાળાનું શુક્રવારે સમાપન થયું છે. આ યજ્ઞમાળાએ ઈતિહાસ રચ્યો છે. કળિયુગમાં સૌ પ્રથમ વખત યોજાયેલા કોટિ રૂદ્રયાગમાં ત્રણ કરોડ કરતાં પણ વધુ આહુતિ વડે સનાતન ધર્મના ઉત્કર્ષ તેમજ બ્રહ્મદેવતા-ભૂદેવોમાં દિવ્યતા વ્યાપક બનાવવાની કામના વ્યક્ત કરવામાં આવી હતી.
હાપા-જામનગરના પ્રખર શિવભક્ત અને બ્રહ્મસમાજપ્રેમી શ્રી હર્ષદભાઈ ગુણવંતરાય વ્યાસ પરિવાર દ્વારા સમસ્ત બ્રહ્મસમાજ સંગઠ્ઠન (ઇન્ડિયા) ના નેજા હેઠળ દ્વાદશ જ્યોતિર્લિંગ કોટિ રૂદ્રયાગનું તા.19થી 27 ફેબુઆરીના નવ દિવસોએ આયોજન કરાયું હતું. જેની ભારતવર્ષમાં વિદ્યમાન બારેય જ્યોતિર્લિંગના સ્થળોએ એકજ દિવસોએ સમાંતર યજ્ઞમાળા રચવામાં આવી હતી. બારેય જ્યોતિલિંગના પાવન સ્થાનકે મળી કુલ 108 કુંડી હોમાત્મક યજ્ઞ યોજાયા હતા. જેમાં રૂદ્રસૂક્તના ‘નમસ્તે પાઠ’ થકી આહુતિઓ અર્પિત કરવામાં આવી હતી. જેની સંખ્યા કોટિ રૂદ્રયાગથી પણ વિશેષ ત્રણ કરોડ ઉપરાંતની થવા પામી છે.
ગત શુક્રવારે સાંજે નિર્ધારિત કાર્યસૂચિ અનુસાર દેવભૂમિ દ્વારકા સ્થિત નાગેશ્વર સહિત બારેય જ્યોતિર્લિંગમાં યજ્ઞશાળામાં સ્થાપિત દેવતાઓના ઉતરપૂજન-ચંડીપાઠ-બલિદાન આપી પૂર્ણાહુતિ બિડું હોમી કોટિ રૂદ્રયાગને વિરામ અપાયો હતો. બારેય જ્યોતિલિંગમાં એક હજાર બસો જેટલા ભૂદેવ દંપતીઓ તેમજ જામનગર, અમદાવાદ, રાજકોટ, મોરબી, ભાવનગર, વડોદરા સહિત ગુજરાતના મોટાભાગના શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ રાજ્યોના શિવભક્તોએ સહયજમાનપદે જોડાઈને યજ્ઞને સફળતા અપાવી ‘લઘુ ભારતવર્ષ’ સર્જ્યું હતું.

આ યજ્ઞમાળાનું સંયોજન સ્થળ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ નિર્ધારિત થયું હતું. જ્યાંથી યજ્ઞના પ્રમુખ આચાર્ય-ભાગવતાચાર્ય શ્રી અનિરૂધ્ધભાઈ ઠાકરે યુ-ટ્યુબ ચેનલના માધ્યમથી જીવંત સંચાલન કર્યું હતું. યજ્ઞમાળાના મુખ્ય યજમાન હર્ષદભાઈ વ્યાસ પણ નાગેશ્વરધામમાં સહપરિવાર જોડાયા હતા.
યજ્ઞમાળાની વિશેષતાએ રહી કે, યજ્ઞમાળાના મુખ્ય યજમાનના પ્રતિનિધિ તરીકે ગુજરાત રાજ્યના ભાજપ પૂર્વ અધ્યક્ષ-પૂર્વ કેબીનેટમંત્રી અને શિવકૃપાપ્રાપ્ત એવા આર.સી.ફળદુએ રામેશ્વર જ્યોતિલિંગથી યજ્ઞમાળાનો દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરાવી નવ દિવસમાં બારેય જ્યોતિર્લિંગની મુલાકાત-યાત્રા કરી પ્રત્યેક સ્થળના યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી. નવમા દિવસે નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી યજ્ઞ પૂર્ણાહુતિનું બિડું અર્પણ કર્યું હતું.
નાગેશ્વર (દ્વારકા) મુકામે તેઓએ જણાવ્યું હતું કે, આ યજ્ઞમાળાના આયોજનમાં ભરપૂર ઉત્સાહ તેમજ સનાતન ધર્મના ઉત્થાનની ભાવનાના તેઓને ઠેર-ઠેર દર્શન થયા હતા. યજ્ઞમાળાના એકમાત્ર મુખ્ય યજમાન હર્ષદભાઈ વ્યાસ દ્રષ્ટિહિન હોવા છતાં આવું વિશ્વવિક્રમી આયોજન તથા વ્યવસ્થાપન સર્વત્ર પ્રશંસનીય રહ્યું. ઈતિહાસના સર્વપ્રથમ આ કોટિ રૂદ્રયાગની ઉર્જા ભારતભરમાં પ્રસરી છે. સક્ષમ બ્રહ્મત્વ હશે તો સનાતન સંસ્કૃતિ તેમજ માનવ કલ્યાણની ઉન્નતિ થઈ શકશે. દ્વાદશ જ્યોતિર્લિંગની યજ્ઞમાળામાં નવ દિવસની સાધના અને તપ કરનારા દરેક સહ-યજમાનો તેમજ વ્યવસ્થાપકોને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્ય યજમાન હર્ષદભાઈ વ્યાસે ઉચ્ચારેલા વક્તવ્યમાં પણ તમામ સહ-યજમાન ભૂદેવોની પૂર્વજન્મના ઋષિ-મુનિના અંશ સાથે તુલના કરી તમામ યજમાન દંપતીઓ-કર્મકાંડી વેદપાઠી શાસ્ત્રીઓ-ઉપાચાર્યોને બિરદાવ્યા હતા. અન્ય રાજ્યો સ્થિત જ્યોતિલિંગમાં જોડાયેલા પાંસઠ ટકા યજમાનો સિનિયર સીટીઝન શિવભકતોએ વરસાદ-વાવાઝોડા-હિમવર્ષા-ઠંડી વચ્ચે કરેલા તપને વંદન કરી કૃતજ્ઞતા અભિવ્યક્ત કરી હતી.
યજ્ઞમાળાના નવ દિવસો દરમિયાન તમામ સહ-યજમાન પરિવારોના નિવાસ-ભોજન-ઉપાચાર્યો-યજ્ઞ સામગ્રી ઉપરાંત આર્થિક રીતે જરૂરતમંદ બ્રાહ્મણ યજમાનો માટે આવન-જાવનના મુસાફરી ભાડાની વ્યવસ્થા સમસ્ત બ્રહ્મસમાજ સંગઠ્ઠન (ઈન્ડિયા)-જામનગર દ્વારા કરવામાં આવી હતી. ઉપરાંત દરેક જ્યોતિર્લિંગમાં એક વ્યવસ્થાપન ટીમની પણ નિમણૂંક કરવામાં આવી હતી. જે વ્યવસ્થા ચોમેર આદર પામી હતી. નવ દિવસો દરમિયાન વિવિધ જ્યોતિર્લિંગમાં જોડાયેલા યજમાનોએ કીર્તન-મંદિરના શિખરે ધ્વજારોહણ, ઈશ્વર વિવાહગાન, ચૂંદડી મનોરથ, મહામંડલેશ્વરો-પૂજારીઓ-મહંતોના ધાર્મિક પ્રવચનો, શિવભક્તોના આદર સત્કાર-અભિવાદન, બ્રહ્મભોજન જેવા કાર્યક્રમો પણ યોજી ભક્તિમય બન્યા હતા. દરેક જ્યોતિર્લિંગમાં ચારેય વેદના અભ્યાસુ વેદપાઠી શાસ્ત્રીઓએ પૂજન-અર્ચન તેમજ હવન કરાવ્યા હતા.


