અહેવાલ : (રવિકુમાર કાયસ્થ) અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નારણપુરા આદર્શ નગર પોલીસ ચોકી પાસે આવેલા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બે વ્યક્તિઓના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં મોબાઈલ ફોન પર વાત કરવાની બેદરકારી જાનલેવા સાબિત થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

ચાલુ ફોને ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન પસાર થઈ…
મળતી માહિતી મુજબ, નારણપુરાના આદર્શ નગર પોલીસ ચોકી પાસેના રેલવે ટ્રેક પરથી પસાર થતી વખતે બે વ્યક્તિઓ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. મૃતકો પૈકી એકની ઓળખ 47 વર્ષીય સત્યજિત શ્રીમાળી તરીકે થઈ છે. પ્રત્યક્ષદર્શીઓ અને મળતી વિગતો અનુસાર, જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે સત્યજિતનો મોબાઈલ ફોન ચાલુ હતો અને તેઓ કોઈની સાથે વાતચીતમાં મશગૂલ હતા. ફોન પર વાત કરતી વખતે ટ્રેનનો અવાજ ન સંભળાતા અથવા ધ્યાન ભટકતા તેઓ ટ્રેનની લપેટમાં આવી ગયા હતા અને સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું.
એક સાથે બે મોતથી પરિવારમાં માતમ
આ અકસ્માતમાં સત્યજિતની સાથે અન્ય એક વ્યક્તિનું પણ મોત થયું છે. રેલવે ટ્રેક ઓળંગતી વખતે થયેલી આ ગંભીર ભૂલને કારણે પરિવારોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક પોલીસ તેમજ રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


