પશ્ચિમ એશિયા (West Asia) માં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભયાનક તણાવને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે, વિદેશમાં વસતા ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી તેમની સર્વોચ્ચ અગ્રતા છે.વિદેશ મંત્રાલયે મોડી રાત્રે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, મિડલ ઈસ્ટના તણાવગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ માર્ગો આંશિક રીતે ખૂલ્યા બાદ અત્યાર સુધીમાં 52,000 થી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે.
યુદ્ધની સ્થિતિને કારણે એરસ્પેસ બંધ થવા અને સુરક્ષાના કારણોસર હવાઈ કામગીરીને મોટી અસર થઈ છે. માત્ર શનિવારે જ દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પરથી આશરે 100 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. 35 ફ્લાઈટ્સ રદ થઈ છે, જ્યારે 36 ફ્લાઈટ્સનું આગમન રદ કરવામાં આવ્યું છે. 22 ફ્લાઈટ્સ રદ થઈ છે અને 17 ફ્લાઈટ્સનું આગમન રદ કરાયું છે. દિલ્હી એરપોર્ટ ઓપરેટર (DIAL) એ ‘X’ પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, પશ્ચિમ તરફ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં વિલંબ થઈ શકે છે અથવા તેમના સમયપત્રકમાં ફેરફાર થઈ શકે છે.

વિદેશ મંત્રાલયે વિસ્તારના તમામ ભારતીય નાગરિકોને કેટલીક અપીલ કરી છે કે, સ્થાનિક સત્તાવાળાઓની માર્ગદર્શિકાનું કડક પાલન કરો. ભારતીય મિશનો (એમ્બેસી) દ્વારા જારી કરવામાં આવેલી સલાહ (Advisory) ને અનુસરો. કોઈપણ સહાય માટે ભારતીય મિશનો દ્વારા સ્થાપિત 24-કલાક ચાલુ હેલ્પલાઈન નો સંપર્ક કરો. ભારત સરકાર સહાયની જરૂરિયાતવાળા તમામ લોકોને સુવિધા પૂરી પાડવા માટે આખા ક્ષેત્રની સરકારો સાથે મળીને કામ કરી રહી છે.
28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ હવે વધુ વકરી રહ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ સતત ઈરાની ઠેકાણાઓ પર બોમ્બમારો કરી રહ્યા છે, જ્યારે ઈરાને પણ વળતો હુમલો કરીને ઇઝરાયલી અને અમેરિકી લશ્કરી મથકોને નિશાન બનાવ્યા છે. સુરક્ષાની સ્થિતિ અત્યંત અનિશ્ચિત બનેલી છે.


