સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ સંસ્થાના મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળવાની ઘટનામાં ચોંકાવનારા ખુલાસા થયા છે. મૃતક રોશની શિરશાઠ અને જોસના ચૌધરીએ એનેસ્થેસિયાના ઇન્જેક્શનનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી એનેસ્થેસિયાની બોટલો અને ઇન્જેક્શન મળી આવ્યા છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

આ કેસમાં સૌથી વધુ આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે, રોશનીએ 5 ફેબ્રુઆરીએ જ પોતાના માતા-પિતાની મેરેજ એનિવર્સરી અત્યંત ધામધૂમથી ઉજવી હતી. આ ખુશીના માહોલના 24 કલાકની અંદર જ તેણે પોતાની સહેલી જોસના સાથે મળીને આવું આત્યંતિક પગલું કેમ ભર્યું, તે પ્રશ્ન સૌને મૂંઝવી રહ્યો છે. પોલીસને બાથરૂમના વોશબેસિન પરથી જોસનાનું બેગ મળી આવ્યું છે, જેમાં બંનેના સાથેના ફોટા, કેલ્ક્યુલેટર, રોકડ રકમ અને મોબાઈલ ફોન હતા. જ્યારે રોશનીના સામાનમાંથી પુસ્તકો અને હોળીના રંગો મળી આવ્યા છે.
પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે આ બંને યુવતીઓએ આપઘાત કરતા પહેલા મોબાઈલ અને ચેટ જીપીટી પર ‘આત્મહત્યા કેવી રીતે કરવી’ તે અંગે સર્ચ કર્યું હતું. હાલમાં ડીંડોલી પોલીસે બંનેના મોબાઈલ ફોન કબજે કરી એફએસએલ (FSL) માં મોકલી આપ્યા છે. પરિવારજનો અને મિત્રોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ આ સામૂહિક આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ પણ એક રહસ્ય બની રહ્યું છે.


