જો તમે અમદાવાદમાં રહો છો અને ધાર્મિક પ્રસંગ કે વરઘોડામાં મોટા અવાજે ડીજે વગાડવાનું વિચારી રહ્યા છો, તો સાવધાન થઈ જજો. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે શહેરમાં ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે કડક જાહેરનામું બહાર પાડ્યું છે. હવેથી શહેરમાં માઈક સિસ્ટમ કે ડીજે વગાડવા માટે પોલીસની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બનશે.જાહેરનામા મુજબ, મંદિરો, મસ્જિદો અને ચર્ચ જેવા ધાર્મિક પરિસરોમાં માઈક સિસ્ટમનો અવાજ એટલો જ રાખવો પડશે જે માત્ર સંકુલ સુધી મર્યાદિત રહે. જો માઈકનો અવાજ રહીશો કે રાહદારીઓ માટે અડચણરૂપ બનશે અથવા ભય ઉભો કરશે, તો પોલીસ તેના ઉપયોગ પર તાત્કાલિક મનાઈ ફરમાવી શકશે.
શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી માઈક સિસ્ટમ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ સમયગાળા દરમિયાન પોલીસ કોઈ પણ સંજોગોમાં મંજૂરી આપશે નહીં. જોકે, સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી પોલીસની મંજૂરી સાથે અને નક્કી કરેલા ડેસિબલ મુજબ અવાજ રાખી શકાશે.

હોસ્પિટલો, શાળાઓ અને કોર્ટની 100 મીટરની આસપાસના વિસ્તારને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરાયો છે. આ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની માઈક સિસ્ટમ વગાડવા પર સખત પ્રતિબંધ રહેશે. રહેણાંક વિસ્તારો, પાર્ટી પ્લોટ કે ખુલ્લી જગ્યાઓમાં પણ મંજૂરી વગર માઈક વાગશે તો પોલીસ દંડનીય કાર્યવાહી કરશે.પોલીસે સ્પષ્ટ કર્યું છે કે વરઘોડા કે રેલીઓમાં પણ નક્કી કરેલી માત્રામાં જ અવાજ રાખવો પડશે. જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરતા ઝડપાશે, તો પોલીસ માત્ર દંડ જ નહીં વસૂલે પરંતુ ડીજે અને માઈક સિસ્ટમ જેવા સાધનો જપ્ત કરીને ગુનો પણ નોંધશે.


