મુંબઇ : આમિર ખાનની પ્રોડક્શન કંપનીએ રાજ કુમાર સંતોષીનાં દિગ્દર્શન હેઠળ બનાવેલી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’નું ટાઈટલ બદલવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ ફિલ્મ અસગર વજાહતનાં પ્રસિદ્ધ નાટક ‘જિસ લાહોર નહિ દેખ્યા વો જન્મ્યા હિ નહિ’ પર આધારિત છે. જોકે, આમિર ખાનને ડર લાગ્યો હતો કે હાલના રાજકીય માહોલમાં પોતે પાકિસ્તાનનાં શહેરનું નામ ટાઈટલમાં હોય તેવી ફિલ્મ રજૂ કરશે તો નેગેટિવ પબ્લિસિટી થઈ શકે છે. આથી તેણે ફિલ્મનું ટાઈટલ બદલીને ‘બટવારા ૧૯૪૭ કરી નાખ્યું છે.

આ ફિલ્મ દ્વારા વર્ષો પછી પ્રીતિ ઝિન્ટા મોટા પડદે પાછી ફરી રહી છે. આ ઉપરાંત વર્ષો બાદ સની દેઓલ ફરી રાજકુમાર સંતોષીનાં દિગ્દર્શન હેઠળ કામ કરી રહ્યો છે. આ ફિલ્મ લાંબા સમયથી તૈયાર હોવાનું કહેવાય છે. જોકે, આમિર ખાને તેની કુટેવ મુજબ ફિલ્મનાં સર્જનમાં વારંવાર દખલ કરતાં તેના અને રાજકુમાર સંતોષી વચ્ચે તથા તેના અને સની દેઓલ વચ્ચે મતભેદો પણ સર્જાયા હોવાનું કહેવાય છે.


