ગાંધીનગરમાં મંગળવારે (10મી માર્ચ) એક અકસ્માત સર્જાયો હતો. ઈન્દ્રોડા ગામના કટ પાસે રોડ પર મુકવામાં આવેલા બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના એક યુવકનું મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક વિદ્યાર્થી હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મૂળ સુદાનનો રહેવાસી આ યુવક પોતાની મોપેડ પર પસાર થઈ રહ્યો હતો. ઈન્દ્રોડા ગામના કટ નજીક રસ્તા પર સુરક્ષા અને ટ્રાફિક નિયમન માટે મુકવામાં આવેલા બેરિકેટ સાથે તેનું મોપેડ પૂરઝડપે અથડાયું હતું. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે યુવક મોપેડ પરથી ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ ગાંધીનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક યુવક સુદાનનો નાગરિક છે. તે ગાંધીનગરની જ કોઈ ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવાની પ્રબળ શક્યતા છે. પોલીસે હાલ યુવકની ચોક્કસ ઓળખ કરવા અને તે કઈ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલો છે તેની તપાસ તેજ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


